સામાન્ય રીતે શ્રીમંત વ્યક્તિઓ દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી હોટલ રેસ્ટોરન્ટ કે ફાર્મ હાઉસમાં પરીવાર કે મિત્રો સાથે કરવામાં આવતી હોય છે. પરંતુ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં આવેલા માંડલ ખાતે બ્રહ્મલીન સ્વામી શ્રી રામાનંદ સરસ્વતી સ્મૃતિ સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાનપ્રસ્થાશ્રમ (ઘરડાઘર)માં વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા ઘરડાઘરના આશ્રિતો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઘરડાઘરમા લાખાભાઈએ કેક કાપીને વડીલોને ખવડાવી હતી અને પોતે ઘરડાઘરના વડીલોને ભોજન પીરસીને પ્રેમથી જમાડ્યા હતા. ધારાસભ્ય દ્વારા અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતા ઘરડાઘરના વડીલોના ચહેરા પર આનંદ છવાયેલો જોવાં મળ્યો હતો.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા