રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલા કબૂતરચોક પાસે ગત રાતે જામનગરના વેપારી પાસેથી ર૦ કિલો ચાંદી અને બેથી ત્રણ તોલા સોનું ભરેલ બેગની બાઈક પર આવેલા ત્રણ શખ્સ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ માત્ર છ સેકન્ડમાં લૂંટની ઘટનાને અંજામ આપી દીધો હતો. વેપારીએ લૂંટારુઓનો પીછો કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ જામનગરના ખંભાળિયાનાકા પાસે રહેતા અને રિદ્ધિસિદ્ધિ જ્વેલર્સના નામે સોના-ચાંદીનાં ઘરેણાં અને કાચામાલનો વેપાર કરતા મહેશભાઇ ગોવિંદભાઇ વજાણિયા (ઉં.વ.પ૦) ગઈ કાલે બપોરે દ્વારકા-ભાવનગર રૂટની એસટી બસમાં રાજકોટ આવ્યા હતા તેમના સાથીમિત્ર અને વેપારી ખંભાળિયાના રમેશભાઇ પણ ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે રાજકોટ આવી ગયા હતા. બંને વેપારીઓ રાજકોટમાં ભેગા થયા હતા અને સોનીબજારમાં સોના-ચાંદીનાં ઘરેણાં સહિતનો માલસામાન અલગ-અલગ વેપારીઓ પાસેથી ભેગો કર્યો હતો. આ બંને વેપારીઓ રાજકોટ અને જામનગરના સોની વેપારીઓને માલ પહોંચાડવાનું કામ કરે છે. ગઈ કાલે અંદાજે દશેક લાખ રૂપિયાનો મુદ્દામાલ મહેશભાઇએ વેપારીઓ પાસેથી જામનગરના ધંધાર્થીઓને આપવા માટે લીધો હતો.