લોકસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીનો માહોલ બનતો જાય છે. આ વર્ષે રાહુલ ગાંધી માટે તક અને મોદી માટે પડકાર છે. વર્ષ ૨૦૧૪ જેવી સ્થિતિ ન હોવા છતાં સરકાર કમબેક કરશે તેવી સંભાવનાઓ વચ્ચે મહાગઠબંધન મોદીનાં સપનાં પર કાતર ફેરવી શકે છે. મોદી આ વખતે વારાણસીમાંથી ફરી ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી સ્થિતિમાં મહાગઠબંધને મોદીને હરાવવા કમરકસતાં મોદીએ અમિતશાહને દોડાવ્યા છે. મોદી પાસે એવો રિપોર્ટ આવ્યો છે કે, વારાણસીમાં સરકારની યોજનાઓ પહોંચી ન હોવાથી લોકો સરકાર સામે નારાજ છે. જેને ભાજપ હવે દોડાદોડી કરી રહ્યું છે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મહાગઠબંધન તરફથી મળનાર પડકારોને ધ્યાનમાં લઇને ભાજપે હવે નવી રણનિતી પર કામગીરી શરૂ કરી દીધી છે. મોદી માટે ભાજપે ૨૫ પ્રધાનોની એક ટીમ ઉતારી દેવાની તૈયારી કરી છે અને આને લઇને રણનિતી અમલી પણ કરવામાં આવી ચૂકી છે. ત્રણ મહિના સુધી વારાણસીમાં મંત્રીઓની ફોજ રહીને પોતાના વિભાગોની કામગીરી સંબંધમાં લોકોને માહિતી આપનાર છે. મોદીના મત વિસ્તારમાં જ સરકારની યોજનાઓ પહોંચી ન હોવાથી મોદી આ બાબતે નારાજ છે. મહાગઠબંધન મોદીને વારાણસીમાં હરાવવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે ત્યારે મોદીના ૨૫ પ્રધાનોની ફોજ વારાણસીમાં સરકારની સુવીધાઓ પહોંચાડવા માટે મચી પડી છે.
ભાજપે દાવો કર્યો છે કે મોદી ફરીથી વારાણસીથી જ ચૂંટણી લડનાર છે. મહાગઠબંધને મોદીને વારાણસીમાંથી ઘેરવા માટે ખાસ યોજના બનાવી છે. જેને ધ્યાનમાં લઇને પાર્ટી અધ્યક્ષ અમિત અકીલા શાહે વારાણસીમાં પ્રધાનોની ફોજ ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વારાણસી અથવા તો કાશીના લોકોને કેન્દ્ર સરકારની તમામ સફળતા અંગે વાકેફ કરવામાં આવનાર છે. કૃષિ પ્રધાન રાધામોહનસિંહ પહેલાંથી જ ખેડૂતોની સાથે બેઠક કરી ચુક્યા છે. ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે. ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ વારાણસી પહોંચીને જીડીપી ત્રણથી ચાર ટકા વધારી દેવાની વાત કરી છે. ત્યારબાદ ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મેનકા ગાંધી અને સ્મૃતિ ઇરાની પણ વારાણસી પહોંચીને કેન્દ્ર સરકારની સિદ્ધીઓને રજૂ કરનાર છે. આ વર્ષે મોદીને પણ ડર લાગ્યો છે. જેના પગલે તેઓએ અત્યારથી આયોજન આરંભ્યું છે. અમિતશાહ પણ મોદી બાબતે કોઈ કચાશ રાખવા માગતા નથી. મોદીના મત વિસ્તારમાં લોકોને યોજનાઓનો લાભ ન મળે તે શરમજનક બાબત હોવાથી મંત્રીઓ કામે લાગી ગયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે કેટલા કામ કરવામાં આવ્યા છે તે બાબતથી લોકોને વાકેફ કરવામાં આવનાર છે. વારાણસીના લોકો સુધી હજુ મૂળભુત સુવિધા પહોંચી નથી. સ્વચ્છતા મિશન પણ અસરકારક રીતે કામ કરી રહ્યું ન હોવાનો મોદી પાસે રિપોર્ટ પહોંચ્યો છે. મોદી છેલ્લે જ્યારે વારાણસી આવ્યા હતા ત્યારે પ્રોટોકોલ તોડીને એવી જગ્યાએ પણ ગયા હતા જ્યાં તેમને ગંદકી અંગે સમાચાર મળ્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રસ્તા પર મોટા ખાડાના કારણે પરેશાન દેખાયા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ