તા.૨ સપ્ટેમ્બરે અમદાવાદ એનેક્ષી ખાતે અનુસુચિત જાતિ હિત રક્ષક સંઘની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, રિટાયર્ડ પોલીસ અધિકારી રાજન પ્રિયદર્શી, બાલકૃષ્ણ આનંદ, રિટાયર્ડ આઈએએસ પરિમલ વાલેરા, રિટાયર્ડ સચિવ જ્યંતિભાઈ સુતરીયા, અમૃતલાલ પરમાર, જશુભાઈ નાડીયા, ડી.એમ.પરમાર, મગનલાલ પરમાર, ટી.કે.પરમાર, જશુભાઈ નાડીયા, મુકેશભાઈ કોલસાવાલા, લાખાભાઈ રોજીદવાળા, દેવેન વર્મા, બેંક અધિકારીએચ.કે.ડાભી, બેંક અધિકારી દેવેન્દ્ર વર્મા, વસંતભાઈ પરમાર, ભાવેશ વર્મા (અમેરિકા), અલ્પેશભાઈ (અમરેલી) ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ અનુસુચિત જાતિનાં વિકાસ માટે, તેમનાં સંરક્ષણ માટે, ઉચ્ચ અભ્યાસ માટે, ઉદ્યોગ-ધંધા માટે તેઓને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેની સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા જે સુપ્રીમ કોર્ટનાં આદેશથી અનુસુચિત જાતિ અત્યાચાર નિવારણ કાયદામાં જે છૂટ આપવામાં આવી હતી તેને સરકાર દ્વારા પુનઃપ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવવામાં આવી અને હજુ સવિશેષ શું કરવું જોઈએ તેનાં સૂચનો ઉપસ્થિત સદસ્યોએ આપ્યાં.
સંસ્થા દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ લોકોમાં જાગૃતિ આવે તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ સૂત્ર ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ જેને સાકાર કરવા માટે યુવાનોનાં સેમિનાર યોજવા અને ખાસ કરીને આ બાબતમાં વિશેષ જાગૃતિ આવે તે માટે પ્રયત્ન કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો અને આગામી દિવસોમાં સરકારશ્રીને આ બાબતમાં યોગ્ય સલાહ-સૂચનો આપી અનુસુચિત જાતિને લગતાં પ્રશ્નોને હલ કરવા સંસ્થા મદદરૂપ બને તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો.