ભાજપના સાથીપક્ષ શિવસેનાએ તેને હિંદુ આતંકવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે તાકીદ કરી છે. શિવસેનાએ કહ્યું છે કે ભાજપ વિપક્ષમાં હતું. ત્યારે તેના દ્વારા હિંદુ આતંકવાદનો આકરો વિરોધ કરવામાં આવતો હતો પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારમાં આવતાની સાથે જ તે લોકોનું હિંદુ આતંકવાદ તરીકે બ્રાન્ડિંગ કરી રહ્યું છે અને તેમને સમાપ્ત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. શિવસેનાએ કહ્યું છે કે હિંદુ આતંકવાદ પર પોતાનું વલણ ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહ્યું છે કે હિંદુ આતંકવાદ શબ્દ કોંગ્રેસે આપ્યો હતો અને તે વખતે ભાજપે હિંદુ આતંકવાદના શબ્દના વિરોધમાં સંસદથી સડક સુધી હંગામો કર્યો હતો. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે હવે ભાજપની મહારાષ્ટ્ર અને કેન્દ્ર એમ બંને સ્થાનો પર સરકાર છે અને હજીપણ હિંદુ આતંકવાદ પર ટીપ્પણીઓ થઈ રહી છે. સરકારે આ દિશામાં પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શિવસેનાએ વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસને ટાંકીને કહ્યું છે કે સરકારે નિર્ણય કરવાનો છે કે તમામ હિંદુ આતંકવાદી છે અને તેમને ખતમ કરવા જોઈએ. હિંદુઓને હિંદુસ્તાનમાં મોદી-ફડણવિસના શાસનમાં આતંકવાદનું બિરૂદ અપાઈ રહ્યું છે. આ પરેશાન કરનારી વાત છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ