મ્યુનિસિપલ કોર્પોરેશનના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્રેન્ચવેલ વચ્ચે પાઇપલાઇનનાં જોડાણની કામગીરી ગત સોમવાથી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેના કારણે આજના ચોથા દિવસે પણ શહેરના પશ્ચિમ ઝોન અને મધ્યઝોનમાં પાણીનો કકળાટ જોવા મળે છે. તેમાંય સાંજનો પુરવઠો ઠપ થવાથી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ભૂલાયો હોવાની ચર્ચા ઊઠી છે. કોતરપુર ખાતે આવેલા ૬પ૦ એમએલડીની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ૧૬૦૦ મીમી વ્યાસની ઇસ્ટર્ન ટ્રંક મેઇન્સ લાઇનમાંથી ૮૦૦ મીમી ફેન્ચવેલની પાઇપલાઇન સાથે જોડાણ કરવાની કામગીરી સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાઇ છે. ગત તા.ર૭ ઓગસ્ટે સોમવારના સવારનો પાણી પુરવઠો પૂરો પડાયા બાદ જોડાણકામ શરૂ કરાયું હતું જો કે બુધવારથી રાબેતા મુજબ પાણી પૂરું પડાશે તેવો તંત્રનો દાવો હતો પરંતુ આજે પણ પશ્ચિમ ઝોનના નારણપુરા, વાસણા, પાલડી, નવરંગપુરા સહિતના વિસ્તારમાં પાણીની બૂમ પડી છે. નારણપુરાના સોલા હાઉસિંગ કોમ્પ્લેક્સ સંલગ્ન ચિત્રકૂટ, પંચવટી, સરગમ, કર્ણાવતી સહિતના ચાલીસ એપાર્ટમેન્ટ, પારસનગર વગેરે વિસ્તારમાં પાણીનાં ઓછાં પ્રેશરથી લોકો પરેશાન છે તેમ સ્થાનિક રહેવાસી મનહરસિંહ વાઘેલા જણાવે છે જ્યારે કાલુપુરની રતનપોળના રહેવાસી જગદીશ પઢિયાર કહે છે મધ્ય ઝોનના કાલુપુર રેલવે સ્ટેશનથી લાલ દરવાજા અને દિલ્હી દરવાજાથી પાનકોરનાકા સુધીના સમગ્ર પટ્ટાના નાગરિકો પાણીનો કકળાટ વેઠી રહ્યા છે. તેમાં પણ તંત્ર જાણે કે હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસને સદંતર ભૂલી ગયું હોય તેમ સાંજનો પાણીનો પુરવઠો તો સદંતર ઠપ જ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ