સોમનાથ જિલ્લામાં તા. ૨૪મી ઓગષ્ટ થી ચોથા તબક્કાનાં સેવા સેતું કાર્યક્રમનો વેરાવળ તાલુકાના સીડોકર ગામે થી પ્રારંભ થયો હતો. રાજ્ય બિજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાની ઉપસ્થિતિમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૧૯૮૮ વ્યક્તિલર્ક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. બિજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા અને પુર્વ રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે અરજદારોને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર અને વિધવા સહાયના મંજુરી પત્રો એનાયત કરાયા હતા.
રાજ્ય બિજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આજથી ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થવાની સાથે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સીડોકર ગામેથી સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. લોકોના વ્યક્તિલર્ક્ષી પ્રશ્ર્નોનો નિકાલ માટે સરકાર આજે આપણા આંગણે આવી છે સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોના મોટાભાગના પ્રશ્ર્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે.
પુર્વ રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડે કહ્યું કે, ગુજરાત રાજ્યનો સર્વશ્રેષ્ડ કાર્યક્રમ હોય તો તે સેવા સેતુનો કાર્યક્રમ છે. સેવા સેતુ કાર્યક્રમ માથી પ્રેરણા લઈ રાજસ્થાન, હરિયાણા જેવા રાજ્યોએ પણ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરી છે.
જુદા જુદા ૨૨ વિભાગોની રાશન કાર્ડમાં નામ ઉમેરવું કમી કરવું નવું કઢાવવું, જાતિ અને ક્રીમીલેયર પ્રમાણપત્રો, આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સુકન્યા સમૃધ્ધી યોજના, વિધવા પેન્શન સહિત ૫૫ પ્રકારના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો હતો. સીડોકર પ્રા.શાળા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં આદ્રી, વડોદરા ડોડીયા, નવાપરા, ડારી, સુપાસી, ચાંડુવાવ સહિતના ગામના અરજદારોના પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, પાણી પુરવઠા અધિકારીશ્રી રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગૌસ્વામી, સરપંચ સત્તારભાઈ તવાણી, તાલુકા પંચાયતના સભ્યશ્રી ફારૂકભાઈ, મહમદભાઈ તવાણી, બાબુભાઈ મકવાણા અને રામભાઈ કરમટા સહિતના મોટીસંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રેવન્યુ તલાટી એસ.એમ.રાવ અને આભારવિધી મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ કરી હતી.
માત્ર દસ મિનીટમાં જ વિધવા સહાય મંજુરી પત્ર એનાયત કરાયું:- હસીનાબેન પરમાર
સીડોકર ગામના વિધવા હસીનાબેન હાજી પરમારે સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી થતા જણાવ્યું હતું કે, સીડોકર ગામે આજે સેવા સેતુ કાર્યક્રમમાં માત્ર દસ મિનીટમાં જ વિધવા સહાય મંજુરી પત્ર રાજ્ય બિજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા અને પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે એનાયત કરવામા આવેલ હતું. હસીનાબેનના એક પુત્ર અને બે પુત્રી હોવાની સાથે સપ્ટેમ્બર માસથી વિધવા સહાય અંતર્ગત રૂા.૧૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
સેવા સેતુ કાર્યક્રમમા પુર્વ રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડે આરોગ્યની તપાસ કરાવી
સીડોકર ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પુર્વ રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડે તેમના આરોગ્યની તપાસ કરાવી હતી. આરોગ્ય શાખાના કર્મચારીઓએ પુર્વ મંત્રીશ્રીની ડાયાબીટીશ અને બી.પી.ની તપાસ કરી હતી.
રિપોર્ટર – મહેન્દ્ર ટાંક – સોમનાથ