કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા જગ્યા નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ગત મોડી રાતથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા છે. દર્દીઓનાં પરિવારજનો પણ હેરાન થઈ રહ્યાં છે અને આક્ષેપ કરી રહ્યા છે કે નેતાઓ માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં જગ્યા છે, જ્યારે સામાન્ય નાગરિકો માટે સિવિલમાં પણ જગ્યા નથી.
કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મોટા ભાગની સરકારી હોસ્પિટલો ભરાઈ જવા આવી છે ત્યારે હવે દર્દીઓ પણ દાખલ થવા લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને દાખલ પણ કરવામાં આવતા નથી, ૧૦૮ દ્વારા જે દર્દીઓને તકલીફ હોય તેમને જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે હોસ્પિટલની બહાર જ એમ્બ્યુલન્સની લાંબી લાઇન દેખાઈ હતી.
સિવિલ હોસ્પિટલની બહાર ૨૦ કરતાં વધુ એમ્બ્યુલન્સમાં દર્દીઓ ૧૨૦૦ બેડવાળી હોસ્પિટલમાં દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા હતા. મોડી રાતના ૨ વાગ્યાથી આવેલા દર્દીઓને સવારે ૯-૩૦ વાગ્યા પછી દાખલ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. પરિવારજનો પણ દર્દીઓની સાથે હતા, કેટલાક પરિવારોએ લાઈન જોઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની તૈયારી પણ બતાવી હતી, પરંતુ પૈસા આપવા છતાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ ખાલી મળ્યાં નહોતાં, જેથી સિવિલ હોસ્પિટલમાં ૫થી ૬ કલાક લાઈનમાં ઊભા રહીને દાખલ થવાનું નક્કી કર્યું હતું.
એક દર્દીના સગા નવનીત પંચાલે જણાવ્યું જતું કે મારાં સાસુનું મોડી રાતે ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું, જેથી ૧૦૮ને કોલ કર્યો, પરંતુ ૧૦૮ને આવતા સમય લાગતાં અને પ્રાઇવેટ વાહનમાં અમે ય્ઝ્રજી હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ ત્યાં જગ્યા નહોતી, જેથી પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરી પણ ત્યાં પણ બેડ ખાલી ના મળ્યો અને ૧૦૮મા સવારે ૪ વાગે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સિવિલ આવીને જોયું તો એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી હતી. એક ડોકટરે કહ્યું હતું કે સેટેલાઇટ પારેખ હોસ્પિટલમાં એક બેડ ખાલી છે, પરંતુ ત્યાં પણ બેડ ખાલી નહોતું. જેથી સિવિલ પરત ફર્યા અને હવે ૪થી ૫ કલાક બાદ નંબર આવ્યો. મંત્રીઓ અને ફૈંઁ માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં બેડ ખાલી મળી રહે છે અને અમારા જેવા સામાન્ય લોકો માટે સિવિલમાં પણ બેડ ખાલી નથી. અમે દર્દીનો જીવ બચાવવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા પણ તૈયાર છીએ, પણ ક્યાંય બેડ ખાલી નથી.
ચાંદખેડાથી એમ્બ્યુલન્સમાં પોતાની પત્નીને વર્ષાબેનને લઈને આવેલા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે મારી પત્નીને કોરોના પોઝિટિવ તો હતો જ, પરંતુ કઈ તકલીફ નહોતી, જેથી અમે ઘરે જ રાખ્યાં હતાં, પરંતુ રાતે ઓક્સિજન લેવલ ઘટતાં ૧૦૮માં બેસાડીને ૨ વાગે સિવિલ હોસ્પિટલ આવ્યાં હતાં. અહીં જોયું તો એમ્બ્યુલન્સની લાંબી લાઇન હતી. પત્નીને પણ ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં જેથી તેઓ તેમનો નંબર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં અને અંતે ૧૦ વાગે તેમનો નંબર આવી ગયો.
પાછલી પોસ્ટ