સંવેદનશીલ અરબી સમુદ્રની સીમા ઓળંગી નાપાક તત્વોએ મુંબઈમાં ૨૬/૧૧ની અતિ ધ્રુણાસ્પદ અને રક્તરંજીત ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારથી માંડી ભારતીય સુરક્ષા એજન્સીઓએ અરબી સમુદ્રમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે. ત્યારે ભારતીય તટ રક્ષક દળના સમુદ્રી પેટ્રોલિંગ દરમિયાન કચ્છના જખૌ નજીકથી એક પાકિસ્તાની બોટ મળી આવી છે. આ બોટ સાથેના નવ પાકિસ્તાની શખ્સો પોતાને માછીમાર ગણાવી રહ્યા છે પરંતુ ભારતીય સુરક્ષા વિભાગ દ્વારા નવેય શખ્સોની ધરપકડ કરી ઓખા લઇ આવી, વિધિવત પૂછપરછ શરુ કરવામાં આવી છે.
અરબી સમુદ્રના સામા છેડે આવેલા દુશ્મન દેશને લઈને સૌરાષ્ટ્ર- કચ્છ સામેનો અરબી સમુદ્ર સંવેદનશીલ રહ્યો છે. અહીં દરિયાઈ માર્ગનો ભૂતકાળ દેશ દ્રોહી પ્રવૃતિઓથી ખરડાયેલો રહ્યો છે. ભૂતકાળમાં અહીથી જ દાણચોરી, સ્મગલિંગ અને ધાતક હથિયારોની હેરાફેરી સહિતની ભાંગ-ફોળ કરતી પ્રવૃતિઓ સામે આવી છે.
મુંબઈ હુમલાના આતંકીઓએ પણ ટાર્ગેટ સુધી પહોંચવા અરબી સમુદ્ર માર્ગનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ માર્ગ દેશની સુરક્ષાને લઈને અતિ મહત્વ ધરાવે છે. ૨૬/૧૧ના હુમલા બાદ ભારતીય સુરક્ષા એજન્શીઓએ વધુ મજબુતાઈ દર્શાવી દરિયાઈ માર્ગ પર પેટ્રોલિંગ સાથે સાથે કિનારે મરીન ચોકીઓ પણ ઊભી કરી છે. જે અંતર્ગત આજે પોરબંદર કોસ્ટ ગાર્ડની મીરા બહન નામની બોટ કચ્છ અને પાકીસ્તાન વચ્ચેના અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ભારતીય જળ સીમામા આઈએમબીએલ પાસે એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી.જેને લઈને સ્ટેન્ડ બાય બની ગયેલ કોસ્ટ ગાર્ડની ટીમે બોટને આંતરી લીધી હતી. ભારતીય સુરક્ષા એજન્શીની ખરાઈમાં આ બોટ પાકિસ્તાની અને તેની અંદરના નવ ખલાસીઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કોસ્ટ ગાર્ડની ટીમે બોટ અને પાકિસ્તાની શખ્સોનો કબજો સંભાળી ઓખા બંદરે લઇ આવી હતી. કોસ્ટ ગાર્ડ દ્વારા તમામ નવ પાકિસ્તાની શખ્સો સામે સીમા પાર કરી ભારતીય સીમામા પ્રવેશવા બદલ આઇએમબીએલ ધારાધોરણોનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરાવ્યો હતો. પાકિસ્તાની શખ્સોના કબજામાંથી કઈ વાંધા જનક ચીજ વસ્તુ મળી આવી નથી. પોતાને માછીમાર ગણાવતા આ શખ્સો ખરેખર માછીમાર છે કે અન્ય ભાંગ ફોળ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે તેની સાચી ખરાઈ કરવા કોસ્ટગાર્ડ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ તપાસમાં જંપલાવ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ