જસદણમાં રવિવારે વહેલી સવારે એક કાળમુખી એસ.ટી. બસનાં ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતાં ૪૦ ફૂટ ઢસડાયું હતું. જેમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં પાછળ બેઠેલી માતાની નજર સામે જ પુત્ર-પૌત્રનું મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. તેને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં ફરિયાદનાં આધારે જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ જસદણના લોહિયાનગરમાં રહેતા અને મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડાયાભાઈ પોપટભાઈ મકવાણા (ઉ.વ.૪૦) નિત્યક્રમ મુજબ વહેલી સવારે તેના પુત્ર દિવ્યેશ(ઉ.વ.૬) અને તેમની માતા સવિતાબેન પોપટભાઇ મકવાણા(ઉ.વ.૬૦)ને બાઈક પર લઇ મંદિરે દર્શન કરવા માટે જતા હતા.. ત્યારે ત્રિપલ સવારી બાઈક લોહીયાનગરથી શહેરના જૂના બસસ્ટેન્ડ નજીક પહોંચતા સામેથી આવતી જસદણ-રાજકોટ રૂટની એસ.ટી. બસે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ૪૦ ફૂટ જેટલા અંતર સુધી ઢસડાયુ હતું.આ અકસ્માતનાં પગલે કોળી ડાયાભાઇ પોપટભાઈ મકવાણા(ઉ.વ.૪૦) અને તેમના પુત્ર દિવ્યેશ(ઉ.વ.૬)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવનાં પગલે લોકોના ટોળેટોળા વહેલી સવારે એકઠા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા આગળની તજવીજ હાથ ધરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ જસદણ-રાજકોટ રૂટની એસ.ટી. બસ આમ તો દરરોજ જસદણ ડેપોથી ઉપડતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી આ બસનો લાભ વધુ લોકોને મળે તે માટે જૂના બસસ્ટેન્ડ સુધી લંબાવવામાં આવી હતી. આ અકસ્માત નિહાળનારાઓનું કહેવું હતું કે બાઈક ચાલક પોતાની સાઇડમાં જ હતો. પરંતુ રસ્તામાં રખડતા ઢોરોએ અડીંગો જમાવેલો હોવાથી બસનો ચાલક ઢોરને તારવવા જતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતક ડાયાભાઈનાં લગ્નજીવનના ૨૦ વર્ષ પછી દિવ્યેશનો જન્મ થયો હતો. પરંતુ મૃતક ડાયાભાઈ અને તેનો ૬ વર્ષનો માસુમ પુત્ર દિવ્યેશ કાળનો કોળીયો બની જતા કોળી પરિવારમાં કરૂણ કલ્પાંત મચી જવા પામ્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ