ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધૂ તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લઈને ભારત પરત ફર્યા છે. સાથે તે પાકિસ્તાનથી અનેક વિવાદો લઈને પણ આવ્યા છે. સિદ્ધુના આ પાકિસ્તાન પ્રવાસને લઈને અનેક સવાલ ખડા થઈ રહ્યાં છે. વિરોધ પક્ષ બાદ હવે ખુદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ આ મામલે સિદ્ધૂને લઈને નિરાશા વ્યક્ત કરી છે.હજી ગઈ કાલે શુક્રવારે જ ઈમરાન ખાને પાકિસ્તાનના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભારતમાંથી અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ એકમાત્ર પંજાબ કેબિનેટના મંત્રી નવજોત સિદ્ધુ જ તેમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા હતાં.પાકિસ્તાન પહોંચેલા સિદ્ધૂ પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવાને જઈને ગળે પણ મળ્યા. એટલું જ નહીં બંને વચ્ચે સંક્ષિપ્ત વાતચીત પણ થઈ. બંને એકબીજા સામે હસી પણ રહ્યાં હતાં. વાતચીત કરતા કરતા એકબીજા ફરી એકવાર ગળે મળ્યા. આ ઉપરાંત સિદ્ધૂ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં પણ જઈને બેઠા.આ મામલે પ્રતિક્રિયા આપતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, ઈમરાન ખાનના શપથ ગ્રહણ સામરોહમાં શામેલ થવા માટે સિદ્ધૂ પોતાના અંગત સંબંધોને કારણે ગયાં હતા. ઈમરાન ખાન તેમના મિત્ર છે, માટે તેઓ પાકિસ્તાન ગયાં હતાં. જેને સરકાર કે પાર્ટી સાથો કોઈ જ લેવાદેવા નથી. પીઓકેના રાષ્ટ્રપતિ સાથે બેસવાને લઈને અમરિંદર સિંહે કહ્યું હતું કે, પીઓકેના રાષ્ટ્રપતિ સાથે તેઓ એટલા માટે બેઠા હતાં કારણ કે તેમને એ ખબર નહોતી કે ત્યાં કોણ કોણ બેઠું છે. પરંતુ પાકિસ્તાનની સેનાના ગળે મળવાના સિદ્ધૂના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરહદ પર દરરોજ આપણા જવાનો શહિદ થઈ રહ્યાં છે અને આ બધુ જ પાકિસ્તાન સૈન્ય પ્રમુખ કમર જાવેદ બાજવાના ઈશારે જ થઈ રહ્યું છે. માટે સિદ્ધૂએ સેના પ્રમુખને ગળે નહોતા લગાડવા જોઈતા. મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે, જો સિદ્ધૂ એમ કહેતા હોય કે, તે જનરલ બાજવાને નહોતા જાણતા તો બાજવાની વર્દી પર તેમની નેમ પ્લેટ લગાડેલી હતી.પાકિસ્તાની સેના પ્રમુખને ગળે લગાડવાને લઈને સિદ્ધૂની ભાજપ સહિતના અનેક રાજકીય પક્ષો પણ આકરી ટિપ્પણી કરી ચુક્યા છે. હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, સિદ્ધૂએ એવા સમયે ધૂમધામથી યોજાઈ રહેલા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો જ્યારે દેશ શોક મનાવી રહ્યો હતો. જ્યારે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે, આ ગંભીર મુદ્દો છે. કોંગ્રેસ અધ્હ્યક્ષ રાહુલ ગાંધીને પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ અને જણાવવું જોઈએ કે, શું તે સિદ્ધૂની આ હરકતનું સમર્થન કરે છે? જો નહીં તો તેઓ શું કાર્યવાહી કરશે?
આગળની પોસ્ટ