વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં પાર્કિગ બાબતે ઝઘડો થતાં યુવાને લોખંડની પાઇપના ફટકા મારીને પિતરાઇ ભાઇની હત્યા કરી નાંખી છે. નવાપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં શ્રીક્રૃષ્ણ મંદિરની સામે અર્જુન વિજયભાઇ પરમાર (ઉં.વ.૩૦) રહેતો હતો. તેના ઘરની સામે જ તેના કાકાનો પુત્ર ચિરાગ ચંદુભાઇ પરમાર (ઉં.વ.૨૭) રહે છે. અર્જુન પરમાર મોડી રાત્રે ૧૦ વાગે પોતાની મોટર સાઇકલ લઇને ઘરે આવ્યો હતો. અર્જુન પરમાર પોતાની બાઇક પાર્ક કરવા માટે ઉભો હતો. તે સમયે તેની પાસે ચિરાગ ધસી આવ્યો હતો. અને તેની સાથે બાઇક પાર્કિગ ન કરવા કહ્યું હતુ અને તે બાબતે ઝઘડો કર્યો હતો. ચિરાગ અર્જુનને બે ફામ અપશબ્દો બોલી રહ્યો હતો. અર્જુન ચિરાગને અપશબ્દો ન બોલવા માટે સમજાવી રહ્યો હતો.
જોતજોતામાં અર્જુન અને ચિરાગ વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે સમયે બંને પિતરાઇ ભાઇઓની બહેન ભૂમિકાબહેન પરમાર તેઓને ઝઘડો ન કરવા માટે સમજાવવા આવી પહોંચી હતી. પરંતુ કોઇક કારણસર ઝઘડો કરી રહેલા બંને ભાઇઓએ ઝઘડો ચાલુ જ રાખ્યો હતો. આ બનાવ અંગે ભૂમિકા મેહુલભાઇ પરમારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગ વિજય ચંદુભાઇ પરમારે અર્જુન પરમારના માથામાં પાઇપનો ફટકો મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા કરીને ફરાર થઇ ગયેલા ચિરાગ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
આગળની પોસ્ટ