એક તરફ સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો બીજી તરફ શાળાઓમાં એડમીશન માટે વાલીઓને રઝળપાટ કરવી પડી રહી છે. તો બીજી તરફ વધુ વર્ગો મંજુર નહિ કરાતા શાળાઓમાં વર્ગખંડોની કેપીસીટી કરતા પણ વધુ વિદ્યાર્થીઓને એડમીશન આપવાથી એક બેંચ પર ચારથી પાંચ વિદ્યાર્થીઓએ બેસીને કે નીચે બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો હોવાના દ્રશ્યો મહેસાણાની શાળાઓમાં જોવા મળ્યા છે.
મહેસાણાની આંબલીયાસણ શાળામાં કાર્યાલયની બહારની લાઈન લાગી છે. આ લાઈન છે ધોરણ ૯માં પોતાના બાળકને એડમીશન અપાવવા માટેની. આ વાલીઓ આજે નહિ રોજ અહી આવીને એડમીશન માટે ધક્કા ખાય છે. તો બીજી તરફ સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, જે સરકાર એક તરફ બાળકોને અભ્યાસ માટે પ્રવેશોત્સવ કરીને પ્રોત્સાહન આપવા માંગે છે.
ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને એડમીશન પણ મળી રહ્યા નથી. મહેસાણાની આંબલીયાસણ માધ્યમિક શાળાના ધોરણ ૯ના ૭વર્ગ ખંડો છે. હજુ પણ બે વર્ગ ખંડો વધારવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જે હજુ મંજુર નથી થઇ. જેને કારણે એક વર્ગખંડમાં ૬૦ વિદ્યાર્થીઓની કેપીસીટી જોતા ૪૨૦ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેમ છે.
જેની સામે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તેવા હેતુસર ૫૨૦ એડમીશન અપાઈ ચુક્યા છે. અને બીજા વાલીઓ લાઈનમાં છે. તેમજ હાલમાં વર્ગખંડોના અભાવને કારણે વિદ્યાર્થીઓને નીચે બેસવાનો વારો આવ્યો છે.વધુ સંખ્યાને કારણે જે બેન્ચીસ પર ત્રણ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેના પર ચારથી પાંચ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બેસાડવા પડી રહ્યા છે.એટલે કે, પુસ્તક મુકવા માટે પણ જગ્યા નથી વધતી.
આંબલીયાસણની સાર્વજનિક વિદ્યાલયની આ પરિસ્થિતિ આજની નથી.છેલ્લા બે-ત્રણ વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. પરંતુ વર્ગો મંજુર કરાતા નથી. સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારીને પૂછતા વર્ગ વધારા માટે દરખાસ્ત મોકલી આપી હોવાનું જણાવ્યું હતું. પરંતુ આટલા વર્ષોથી વર્ગ મંજુર નહિ થતા હાલાકી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભોગવી રહ્યા છે.
આગળની પોસ્ટ