કમલમ ખાતે યોજાયેલા પ્રદેશ ભાજપના એક દિવસીય વર્કશોપના સમાપન સત્રને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એ દેશની દિશા નક્કી કરવા માટેની મહત્વની ચૂંટણી છે.
વર્ષોથી ભાજપના હજારો કાર્યકરો ત્યાગ, તપ અને બલિદાન આપી દેશ માટે જે સપનુ જોયું હતું તે સાકાર કરવા માટેની અંતિમ લડાઈ છે. આપણી પાસે મોદી જેવું સક્ષમ નેતૃત્વ છે. સાફ નિયત છે. પ્રજાનો વિશ્વાસ છે. રાષ્ટ્રવાદી વિચારધારા અને લોક કલ્યાણકારી નીતિઓનું આ ભાથું લઈને પ્રજા વચ્ચે જવાનું છે. કોંગ્રેસ અને વિપક્ષો પાસે કોઈ નેતા નથી. કોઈ નિયત નથી, કાર્યકરો નથી કે કોઈ વિચારધારા નથી. વિપક્ષી ગઠબંધનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર માટેની લડાઈ અને હરીફાઈ જામી છે. ચૂંટણી નજીક આવતા આવતા વિપક્ષી ગઠબંધન વેરવિખેર થઈ જશે.
રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની આજની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે તમામ ૨૬ લોકસભા બેઠક પર ભાજપનો પુનઃ વિજય નિશ્ચિત છે. કોંગ્રેસ પાર્ટી ધણીધોરી વગરની બની ગઈ છે. હતાશા અને નિરાશામાં ગરકાવ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ પેટાચૂંટણી આપણે જીત્યા છીએ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન સ્થપાયું છે.
લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરથી લઈ બુથ સુધીના તમામ કાર્યકરો સક્રિય બનીને અર્જુનની જેમ એક જ આંખ દેખાય તે રીતે વિજયના નિશ્ચિ લક્ષ્ય સાથે પરિશ્રમની પરકાષ્ઠા સર્જવા સજ્જ થયા છીએ. સહસંગઠન મંત્રી વી.સતિષજીએ કહ્યું હતું કે ભારતના રાજકીય ઈતિહાસમાં વિપક્ષોને આટલા હતાશ અને નિરાશા દેખવાસીઓએ ક્યારેય જોયા નથી.
આગળની પોસ્ટ