લોકસભામાં માનવ તસ્કરીના દૂષણ પર લગામ તાણવા સર્વાંગી કાયદો પસાર કરાયો હતો. મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે આ કાયદો સેક્સ વર્કરોને હેરાન કરવા માટે નથી ઘડાયો, પણ માનવ તસ્કરોને માટે બનાવાયો છે.
એવું માનવામાં આવ્યું હતું કે સભ્યોએ સૂચવેલી ખૂટતી કડી કાયદામાં ઉમેરી દેવામાં આવશે.આ ખરડાને ઘણાં પક્ષના સભ્યોએ ટેકો આપ્યો હતો. કૉંગ્રેસ અને માર્ક્સવાદી પક્ષે ખરડાને સ્થાયી સમિતિ પાસે મોકલવાનો આગ્રહ સેવ્યો હતો, પણ મેનકાએ જણાવ્યું હતું કે આ ખરડો લાંબા સમયથી વિલંબીત છે. કાયદો પીડિત-તરફી છે અને કાયદો અમલમાં મુકાયા બાદ દોષીઓને સજાની સંખ્યા વધશે એવી મને આશા છે.
ટ્રાફિકિંગ ઑફ પર્સન્સ (પ્રિવેન્શન, પ્રોટેક્શન અને રિહેબિલિટેશન) ખરડો, ૨૦૧૮ પ્રમાણે પીડિત, ફરિયાદી અને સાક્ષીઓની માહિતી ગુપ્ત રાખવામાં આવશે, સમયાવધીમાં ફેંસલો અને પીડિતને એમના દેશ પાછા મોકલાશે.
મેનકાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે સમાજસેવકો આ ધંધામાં સ્વેચ્છાએ છે, એમને હેરાન કરવા માટે આ કાયદો નથી, પણ સેક્સ રેકેટનો ભોગ બનેલા લોકો પ્રત્યે સહિષ્ણુતાની નજરે જોવા માટેનો છે.
કાયદામાં જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સ્તરે સંસ્થાકીય મશીનરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. દોષીને ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને ઓછામાં ઓછો એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ આ કાયદામાં કરવામાં આવી છે. આ સિવાય, આ કાયદામાં બળજબરીથી કામ કરાવવું, ભીખ મગાવવી અને લગ્ન જેવી બાબતોને પણ આવરી લેવાઇ છે.