૧૯૨૪ની સાલની ૨૪મી ડિસેમ્બરે અમૃતસર નજીકના કોટલા સુલતાન સિંહ ગામમાં જન્મેલા મોહમ્મદ રફીએ ગાયેલા હજારો ફિલ્મી ગીતોને એમનાં પ્રશંસકો આજે પણ ગણગણે છે.બાળ મોહમ્મદ રફી ‘ફિકો’ એમના ગામમાં આવતા એક ફકીરનાં ગીતો સાંભળીને પ્રભાવિત થયા હતા. તેઓ એમની પાછળ પાછળ જતા હતા અને એમની જેમ ગાતા હતા. બાદમાં, રફી લાહોર શહેરમાં એમના એક સગાંની વાળંદની દુકાનમાં કામે લાગ્યા હતા. એક દિવસ ફિકોએ વાળંદની દુકાનમાં ગીતો ગાયા હતા. ગ્રાહકો એમની ગાયકીથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ વખતે રફીનો ભાઈ પણ હાજર હતો. એણે તરત જ પિતાના વિરોધની પરવા કર્યા વિના નિર્ણય લઈને ફિકોને ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન પાસે ગાયકીની તાલીમ લેવા માટે મોકલ્યો હતો અને એને પગલે ભારતીય સમાજને મળ્યા એક મહાન પાર્શ્વગાયક – મોહમ્મદ રફી – સૂરોનાં બાદશાહ.રફીએ પ્લેબેક સિંગર તરીકે ૧૯૪૧માં લાહોરમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે એમણે એક પંજાબી ફિલ્મ ‘ગુલ બલોચ’માં ગાયિકા ઝીનત બેગમ સાથે ગીત ગાયું હતું – ‘સોનીયે ની, હીરીએ ની’. ત્યારબાદ ૧૯૪૪માં રફી મુંબઈ આવીને વસ્યા હતા.દક્ષિણ મુંબઈમાં, ભીંડી બજાર વિસ્તારમાં એ સમયે રફી ૧૦ બાય ૧૦ના એરિયાવાળી રૂમમાં રહેતા હતા. બોલીવૂડમાં એમને પહેલો બ્રેક મળ્યો હતો ‘ગાંવ કી ગોરી’ ફિલ્મમાં ‘અજી દિલ હો કાબૂ મેં તો દિલદાર કી ઐસી તૈસી’ ગીત સાથે.૧૯૬૦માં ગુરુદત્તની કમબેક ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ના ટાઈટલ સોંગ માટે તો રફીએ શ્રેષ્ઠ ગાયક તરીકેનો એમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. એ પછી એમણે એવા વધુ પાંચ એવોર્ડ જીત્યા હતા. ૧૯૭૭માં ‘હમ કિસી સે કમ નહીં’ ફિલ્મના ‘ક્યા હુઆ તેરા વાદા’ ગીત માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ અપાયો હતો. ૧૯૬૭માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’થી સમ્માનિત કર્યા હતા.રફીએ એસ.ડી. બર્મન, શંકર-જયકિશન, મદન મોહન, ઓ.પી. નૈયર, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આર.ડી. બર્મન સહિત અનેક સંગીતકારોની ધૂન પર રચાયેલા ગીતો માટે પોતાનો સ્વર આપ્યો હતો.રફીએ માત્ર હિન્દી ફિલ્મોમાં તથા ગુજરાતી, મરાઠી સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં જ ગીતો ગાયાં છે એટલું જ નહીં, એમણે અંગ્રેજી, અરબી, સિંહાલીઝ અને ડચ ભાષાઓમાં પણ ગીતો ગાયાં હતાં.
રફી રોમેન્ટિક ઉપરાંત શાસ્ત્રીય અને રોક એન્ડ રોલ સહિત અનેક શૈલીનાં મળીને પાંચ હજારથી પણ વધારે ગીતો ગાઈને માનવંતા, આદરણીય, લોકપ્રિય બન્યાં છે.રફીએ સોલો ગીત ગાવા ઉપરાંત ઉપરાંત નૂરજહાં, લતા મંગેશકર, આશા ભોસલે સહિત અનેક ગાયિકાઓની સાથે મળીને અગણિત યાદગાર યુગલ ગીતો પણ ગાયાં છે, પણ એમાંથી અમુકનો ઉલ્લેખ કરી શકાય જેમ કે, ચૌદહવી કા ચાંદ હો, તેરી પ્યારી પ્યારી સુરત કો, ઐ ગુલબદન ઐ ગુલબદન, ચાહૂંગા મૈ તુઝે, છૂ લેને દો નાઝુક હોઠોં કો, બહારોં ફૂલ બરસાઓ, બડી મસ્તાની હૈ, ખિલૌના જાન કર, ક્યા હુઆ તેરા વાદા, પરદા હૈ પરદા, ચલો રે ડોલી ઉઠાઓ, મૈંને પૂછા ચાંદ સે વગેરે.૧૯૪૨ અને ૧૯૮૦ વચ્ચેના વર્ષોમાં રફીએ હિન્દી સિનેમામાં લગભગ તમામ અભિનેતા અને સહાયક અભિનેતાઓ, ચરિત્ર અભિનેતાઓનાં ફિલ્મી ગીતો માટે પોતાનો સ્વર આપ્યો હતો.૧૯૮૦ની ૩૧ જુલાઈએ દેહાવસાનના ૩૭ વર્ષો પછી પણ મોહમ્મદ રફીની લોકપ્રિયતામાં કોઈ જ ઘટાડો થયો નથી અને થશે પણ નહીં. મોહમ્મદ રફી અમર છે.
મોહમ્મદ રફીએ પોતાની જિંદગીનું ગીત ૩૧મી જુલાઈની રાતે સમેટી લીધું હતું. પોતાના હજારો ગીતોને રાજમાર્ગો પર મનોરંજન માટે અને જગતની અંધારી ગલીઓમાં, ગરીબોના પેટ ભરવા માટે દાન કરી દીધાં છે.મોહમ્મદ રફીના કંઠની બુલંદીને કોઈ પહોંચી શકે એમ નથી. મોહમ્મદ રફીની કારકિર્દીના મિનારાઓની ઊંચાઈને કોઈ અડકી શકે એમ નથી. અને હવે એનું મૃત્યુ પણ એટલું મહાન છે કે એને કોઈ સ્પર્શી શકે એમ નથી.
ઈસ્લામમાં એક એવી માન્યતા છે કે જેના જનાઝામાં ૪૦ માણસો શામેલ થાય તો એ માણસ ’જન્નતી’ બની જાય છે. એટલે દફનવિધિ સમયે કબ્રસ્તાન સુધી ૪૦ માણસોની હાજરી, મરનાર માણસના બધા ગુનાઓને માફ કરવા માટે પૂરતી છે. એ માણસ સ્વર્ગનો હકદાર બની જાય છે.વાદળો છવાયેલાં હતાં. વરસાદ વરસી રહ્યો હતો. મોહમ્મદ રફીના જનાઝામાં લગભગ દસ હજાર માણસ મૌજૂદ હતાં.આમ પણ એ શખ્સ મઝહબી લઢણનો ઈન્સાન હતો. સમસ્ત ઘરનું વાતાવરણ મઝહબી ધાર્મિક રહેતું હતું. મોહમ્મદ રફીએ પોતે હજ પણ અદા કરી હતી. પોતાની હયાતી દરમ્યાન પણ એની હસ્તી ’જન્નતી’ હતી.રફીના ચહેરા પરની મુસ્કુરાહટમાં કદી પણ ફેર પડતો નહોતો. મોહમ્મદ રફીના નામે વર્ષો પહેલાં એક જુવાન છોકરો ફિલ્મ લાઈનમાં આવવા માટે ફાંફા મારી રહ્યો હતો ત્યારે પણ એના ચહેરા પર આવું જ સ્મિત પથરાયેલું રહેતું હતું.
– રફી દિલીપ કુમર, દેવાનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, શશિ કપૂર, રાજકુમાર જેવ જાણીતા નાયકોના અવાજ તરીકે ઓળખાતા હતા.
– રફીએ પોતાના સિને કેરિયરમાં લગભગ ૭૦૦ ફિલ્મો માટે ૨૬૦૦૦થી પણ વધુ ગીત ગાયા
– મોહમ્મદ રફીને તેમના કેરિયરમાં ૬ વાર ફિલ્મ ફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
– વર્ષ ૧૯૬૫માં રફીને પદમશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા.
– મોહમ્મદ રફી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ખૂબ મોટા પ્રશંસક હતા. મોહમ્મદ રફી ફિલ્મ જોવાના શોખીન નહોતા,પણ ક્યારેક ફિલ્મ જોઈ લેતા હતા. એકવાર રફીએ અમિતાભ બચ્ચનની દિવાર ફિલ્મ જોઈ હત્રી. દીવાર જોયા પછી તેઓ અમિતાભના મોટા પ્રશંસક બની ગયા.
– વર્ષ ૧૯૮૦માં પ્રદર્શિત ફિલ્મ નસીબમાં રફીને અમિતાભની સાથે યુગલ ગીત ચલ ચલ મેરે ભાઈ ગાવાની તક મળી. અમિતાભ સાથે આ ગીત ગાયા બાદ રફી ખૂબ જ ખુશ હતા. જ્યારે રફી સાહેબ પોતાના ઘરે પહોંચ્યા તો પોતાના પરિવારને પોતાના ફેવરેટ અભિનેતા અમિતાભ સાથે ગીત ગાવાની વાતને ખુશીપૂર્વક વ્યક્ત કરી હતી.
– અમિતાભ ઉપરાંત રફીને શમ્મી કપૂર અને ધર્મેન્દ્રની ફિલ્મો પણ ખૂબ પસંદ હતી, મોહમ્મદ રફીને અમિતાભ-ધર્મેન્દ્રની ફિલ્મ શોલે ખૂબ જ પસંદ હતી અને તેમણે આ ત્રણ વાર જોઈ હતી.
– પોતાના અવાજના જાદૂથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા મહાન પાર્શ્વગાયકે ૩૧ જુલાઈ ૧૯૮૦ના રોજ આ દુનિયાને અલવિદા કરી.
– ૩૦ જુલાઈ ૧૯૮૦ના રોજ ’આસ પાસ’ ફિલ્મનુ ગીત ’શામ ક્યૂ ઉદાસ હૈ દોસ્ત’ ગીતને પુરૂ કર્યા બાદ જ્યારે રફીએ લક્ષ્મીકાંત પ્યારેલાલને કહ્યુ, શૂડ આઈ લીવ, જેને સાંભળીને લક્ષ્મીકાંત પ્યારેલાલ અચંભિત થઈ ગયા, કારણ કે આ પહેલા રફીએ તેમને ક્યારેય આ રીતે વાત નહોતી કરી. બીજા દિવસે ૩૧ જુલાઈ ૧૯૮૦ન રોજ રફીને હાર્ટ એટેક આવ્યો અને તેઓ આ દુનિયાને છોડી ગયા.
– મોહમ્મદ રફીની અંતિમ યાત્રા દરમિયાન ભારે વરસાદ હતો છતા પણ તેમા લગભગ ૧૦૦૦૦ લોકો એકત્ર થયા હતા. આ મુંબઈની સૌથી મોટી અંતિમયાત્રામાંથી એક માનવામાં આવે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ