૧ ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ટેસ્ટ શ્રેણી માટે વિરાટ કોહલીને ઘણી મજબૂત ટીમ મળી છે. જેમાં એકથી એક ચડીયાતા ધુરંધર ખેલાડીઓ છે. ટીમ કેટલી મજબૂત છે તેનો અંદાજ એ વાત પરથી આવી જાય કે દુનિયાના નંબર ૧ સ્પિનરને પણ અંતિમ ઇલેવનમાં તક મળે તેવી સંભાવના ઓછી છે.
અમે વાત કરી રહ્યા છીએ રવીન્દ્ર જાડેજાની તે હાલ આઈસીસી રેન્કિંગમાં નંબર -૩ બોલર અને નંબર-૧ સ્પિનર છે. આ સિવાય તે નંબર ૨ ટેસ્ટ ઓલરાઉન્ડર પર છે. આઈસીસી રેન્કિંગમાં આટલું મજબૂત સ્થાન હોવા છતા વિરાટ કોહલી પ્લેઇંગ ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાના સ્થાને કુલદીપ યાદવને તક આપી તેવી સંભાવના છે. કુલદીપ યાદવે ઇંગ્લેન્ડ સામે વન-ડે અને ટી-૨૦માં જોરદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે જાડેજાનું વિદેશની ધરતી ઉપર પ્રદર્શન સારું નથી.
જાડેજાએ ભારતીય ધરતી ઉપર ૨૬ ટેસ્ટમાં ૧૩૭ વિકેટ ઝડપી છે. જોકે તે ઇંગ્લેન્ડમાં ૪ ટેસ્ટમાં ફક્ત ૯ વિકેટ ઝડપી શક્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ તેનું પ્રદર્શન તેની અપેક્ષા પ્રમાણે દમદાર નથી. બીજી તરફ કુલદીપની ફિરકી ઇંગ્લેન્ડના બેટ્સમેનો માટે પરેશાનીનો વિષય બની છે.
આગળની પોસ્ટ