ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે ભારત પાસે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર્સ ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બૂમરાહની ગેરહાજરીનું નુકસાન ભરપાઈ કરવા માટે મજબૂત વિકલ્પ (બેંચ સ્ટ્રેન્થ) હાજર છે. આ બંને ફાસ્ટ બોલર ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની આગામી શ્રેણીની કેટલીક ટેસ્ટમાં રમવાના નથી.
ભારતીય પસંદગીકારોએ શરૂઆતની ત્રણ ટેસ્ટ માટે જસપ્રીત બૂમરાહ, ઈશાંત શર્મા, મોહંમદ શામી, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ટીમમાં સામેલ છે. પાંચ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ તા. ૧ ઓગસ્ટે બર્મિંગહામમાં રમાશે.
ઝહીરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું, ”બૂમરાહ ઈજાને કારણે શરૂઆતની કેટલીક મેચમાં રમવાનો નથી અને ભુવનેશ્વરને પણ ઈજા થઈ છે, જે આગામી સિઝનને જોતાં ટીમ ઇન્ડિયા માટે થોડી ચિંતાની વાત જરૂર છે, પરંતુ મારું માનવું છે કે આ બંને ખેલાડીની ઈજા છતાં પાંચ મેચની શ્રેણી ઘણી લાંબી શ્રેણી છે.”
ઝહીરે જણાવ્યું, ”મારું માનવું છે કે જે પણ બોલર રમશે, જેમ કે ઉમેશ યાદવ સારી બોલિંગ કરી રહ્યો છે, ઈશાંત શર્મા સિનિયર બોલર છે અને તેણે ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવું પડશે. મોહંમદ શામીનો રેકોર્ડ સારો છે. ટીમને ભુવી-બૂમરાહની ખોટ વર્તાશે, આમ છતાં ભારતની બેંચ સ્ટ્રેન્થ ઘણી મજબૂત છે.”
અંતમાં ઝહીરે જણાવ્યું, ”પરિસ્થિતિને જોતાં મને લાગી રહ્યું છે કે સમગ્ર શ્રેણી દરમિયાન ભારતીય ટીમનાં પ્રદર્શનમાં સાતત્ય જોવા મળશે. આશા રાખું છું કે ભારતીય બોલર્સ અને આખી ટીમ ફિટ રહેશે, કારણ કે લાંબી શ્રેણીમાં એ જરૂરી છે કે તેઓ એક ટીમના રૂપમાં પ્રદર્શન કરે.”
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ