સાબરકાંઠાના ખેડૂતો માટે જાણે કે કુદરતે કેર વરસાવ્યો હોય એમ લાગી રહ્યું છે. પહેલા અસહ્ય ગરમી અને હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. પાકમાં કાતરા પડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું ૪૩,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયુ છે અને આ વર્ષે ખેડૂતોને પાકમાં તમામ સિઝનમાં નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. પહેલા અસહ્ય ગરમીને કારણે પાક બળી ગયો હતો. તો હવે કાતરાએ મગફળીના પાકમાં મોટુ નુકશાન કરી દીધુ છે. કાતરા એક એવી જીવાત છે કે જે એક ખેતરમાં પડે કે થોડાક દિવસોમાં આખુ ખેતર ખાલી કરી નાખે છે. કાતરાનો મુખ્ય ખોરાક પાકના પાન હોય છે.
ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યુ છે અને એમાંય ખાસ કરીને મગફળી, અડદ, કપાસ, ગવાર અને તુવર જોવા પાકોનું વાવેતર કર્યું છે. આ પાકમાં કાતરા ફરી વળ્યાં છે. જેનાથી ખેડૂતોને મોટું નુકશાન થઈ રહ્યું છે. અનેક દવા છાંટવા છતાં પણ આ કાતરા મરતા નથી. અને સમગ્ર પાક નષ્ટ કરી રહ્યાં છે.
આમ તો કાતરાનુ આયુષ્ય ૨૭ દિવસનુ જ હોય છે. પણ આ ૨૭ દિવસ સુધીમાં તો કાતરા અનેક ખેતરોમાં ઘુસીને પાકને નષ્ટ કરી દે છે. કાતરા હોય ત્યાં સુધી ભારે વરસાદ ન આવે અને જો વરસાદ આવે તો એ પણ ઝરમર ઝરમર એવું વડીલોનુ માનવું છે. તો પાકને બચાવવા યોગ્ય દવાનો છંટકાવ કરવા ખેતીવાડી અધિકારીએ સૂચન કર્યું છે.
પાછલી પોસ્ટ