સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે આધારકાર્ડ નહીં હોવા પર કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્ય ક્ષેત્રની મહત્ત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતના લાભથી વંચિત રાખી શકાય નહીં. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ સ્પષ્ટીકરણ એ મીડિયા રિપોર્ટ ઉપર આપ્યું ચે જેમાં યોજના માટે આધારને અનિવાર્ય કરવાની વાત કહેવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યું કે આધાર અધિનિયમની કલમ ૭ હેઠળ આયુષ્યમાન ભારત સંબંધિત જાહેરનામામાં યોજના લાગુ કરનારી એજન્સીઓને માત્ર એવું કહેવાયું છે કે તેઓ લાભાર્થીની ઓળખ સુનિશ્રિ્ચત કરવા માટે તેને આધારકાર્ડ અંગે પૂછે. લાભાર્થીની ઓળખ સુનિશ્રિ્ચત કરવા માટે આધારકાર્ડ મરજિયાત છે નહીં કે ફરજિયાત.
આધાર કાર્ડ નહીં હોવા પર કોઈ વ્યક્તિને યોજનાના લાભથી વંચિત રાખી શકાય નહીં. મંત્રાલયે કહ્યું કે જાહેરનામામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પાસે આધારકાર્ડ નથી તો તે રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, મનરેગા કાર્ડ વગેરે વૈકલ્પીક ઓળખપત્રોથી યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ સાથે જ એજન્સીઓને આધાર નોંધણી કેન્દ્ર ખોલવા માટે પણ કહેવાયું છે જેનાથી કોઈનું આધાર માટે અરજી ન થઈ હોય તો તેઓ અરજી કરી શકે.