કળીયુગમાં પણ ચોરી કરનાર તસ્કરોનુ હૃદય પરિવર્તન થઈ શકે છે.પહેલા તો વાત ગળે ના ઉતરે પણ આ હકીકત છે. કેરાલાના અલાપ્પુજા શહેરના અમ્બાલપુજ્જા પોલીસ મથકની હદમાં બનેલી એક આશ્ચર્યજનક ઘટનામાં તસ્કરોએ ચોરેલા દાગીના પાછા આપવાની સાથે સાથે પત્ર લખીને માફી પણ માંગી હતી.
પોલીસે કહ્યું હતું કે કરુમૈડીના રહેવાસી મધુ કુમાર મંગળવારે પોતાના પરિવાર સાથે પોતાના મોટાભાઈના પુત્રના લગ્નમાં સામેલ થવા ગયા હતા. તેઓ ભૂલથી મકાનના મુખ્ય ગેટને લોક કરવાનુ ભુલી ગયા હતા. તેઓ રાતે પાછા આવ્યા ત્યારે જોયુ તો ઘરનો સામાન વેર વિખેર હતો.
પાછળનો દરવાજો ખુલ્લો હતો.તેમણે બીજા દિવસે ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં આપી હતી. જેમાં એક શકમંદ વ્યક્તિનુ નામ પણ આપ્યુ હતુ. પોલીસે આ કેસની તપાસ શરુ કરી હતી અને તે દરમિયાન મધુકુમારને ઘરના ગેટ સામે કાગળમાં લપેટાઈને મુકાયેલા દાગીના મળ્યા હતા.
તેની સાથે એક પત્ર પણ હતો.જેમાં લખવામાં આવ્યુ હતુ કે મને માફ કરી દો. પૈસાની બહુ જરુર હોવાથી મેં ઘરેણા ચોરી કર્યા હતા પણ હવે એવી ભૂલ નહી થાય, મહેરબાની કરીને તમે પોલીસ પાસે જતા નહી. આ પત્ર મળ્યા બાદ મધુકુમારે પણ પોલીસ કાર્યવાહી નહી કરવાનો નિર્ણય લીધો છે.