મણિપુરના તામેંગલાંગ જિલ્લા મુખ્યમથક નજીક અલગ-અલગ ત્રણ સ્થાનો પર ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાઈ છે. ભૂસ્ખલનને કારણે ઘણાં મકાનો ધ્વસ્ત થયા છે. આ ભૂસ્ખલનને પરિણામે ૯ લોકોના મોતના અહેવાલ છે. જો કે ભૂસ્ખલનની ઘટનામાં સાત લાશો મળી શકી છે અને બાકીને બે લાશની શોધખોળ ચાલુ છે.
તામેંગલાંગ જિલ્લાનું મુખ્યમથક મણિપુરના પાટનગર ઈમ્ફાલથી ૧૫૬ કિલોમીટર દૂર છે. આ ભૂસ્ખલનને કારણે મકાનો ધ્વસ્ત થયા છે અને તેના કાટમાળમાં અહીં રહેતા લોકો દટાયા હતા. જ્યાં સુદી મદદ પહોંચે ત્યાં સુધીમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોની સંખ્યામાં વધારાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ઈમ્ફાલ-જિરિબામ સેક્ટર ખાતે બરાક બ્રિજ ફરીથી ક્ષતિગ્રસ્ત થયો છે. નિર્માણકાર્ય સંબંધિત મટિરિયલ સાથેની એક ટ્રકને કારણે બરાક બ્રિજને નુકસાન થયું છે. નાગાલેન્ડની રાજધાની નજીકના કોહિમા-દિમાપુર સેક્ટરમાં આવેલો નેશનલ હાઈવે-૨૯ બંધ થયો છે. નેશનલ હાઈવે ૨૯ને નાગાલેન્ડ અને મણિપુરની જીવાદોરી ગણવામાં આવે છે. નેશનલ હાઈવે-૨૯ના બંધ થવાથી મણિપુરમાં ચીજોની આપૂર્તિને માઠી અસર પહોંચી છે.