દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે સુરક્ષાદળો દ્વારા દેખાવકારો પર હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. હવામાં ગોળીબાર કરવામાં આવ્યા બાદ પણ દેખાવકારો શાંત પડ્યા ન હતા. જેથી સુરક્ષાદળોને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
સુરક્ષા દળો પર પથ્થરમારા દરમિયાન કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનામાં એક કિશોરી સહિત ત્રણ લોકોના મોત થતા સ્થાનિક લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ હવૂરા ક્ષેત્રમાં દેવાખવારો દ્વારા સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સ્થિતિ વણસી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ચકાસણી કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આની સાથે જ અનંતનાગ, કુલગામ, સોપિયન અને પુલવામા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આઠમી જુલાઈના દિવસે હિઝબુલના કમાન્ડર રહી ચુકેલા બુરહાન વાનીના મોત બાદ તેની બીજી વરશી આવી રહી છે. આવતીકાલે તેની વરશીને લઈને સુરક્ષા વ્યવસ્થા મજબત કરવામાં આવી ચુકી છે. આ કુખ્યાત આતંકવાદીને ટેકો આપનાર લોકો હિંસા ફેલાવી શકે છે. બીજી બાજુ કટ્ટરપંથીઓ દ્વારા બંધની હાકલ કરવામાં આવી છે. બુરહાન વાનીને બે વર્ષ પહેલા આઠમી જુલાઈના દિવસે અનંતનાગમાં સુરક્ષા દળોએ ઠાર મારી દીધો હતો. આઠમી જુલાઈ ૨૦૧૬ના દિવસે તેને ઠાર કરી દેવામાં આવ્યો હતો. બુરહાન વાનીના મોત બાદ કાશ્મીર ખીણમાં અનેક જગ્યાઓએ વ્યાપક હિંસા થઈ હતી.
જમાતે ઈસ્લામમાંથી અભ્યાસ કરી ચુકેલા બુરહાન વાનીને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાઈ ગયા બાદ નવા પોસ્ટર બોય તરીકે ગણવામાં આવી રહ્યો હતો. તેના મોતથી કટ્ટરપંથીઓમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. તેની સાથે અન્ય ૧૦ આતંકવાદીઓના ફોટા પણ જારી કરવામાં આવ્યા હતા. તેની સાથે જ ફોટામાં રહેલા તમામ ૧૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે.
આગળની પોસ્ટ