કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમને આજે મોટી રાહત મળી હતી. કારણ કે, દિલ્હી હાઈકોર્ટે પૂર્વ પ્રધાનની ધરપકડ કરવાથી તેમને વચગાળાન રક્ષણ સાથે સંબંધિત બાબતને લંબાવવાનો નિર્ણય કર્યો છે. પહેલી ઓગસ્ટ સુધી હવે ચિદમ્બરમની ધરપકડ કરી શકાશે નહીં. સમગ્ર દેશમાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવનાર અને તેમને મુશ્કેલીમાં મુકનાર આઇએનએક્સ મિડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે તપાસમાં સહકાર કરવા કોંગ્રેસી નેતાને આદેશ આપવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર થવા પણ કહેવામાં આવ્યું છે. આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમને ધરપકડથી વધુ થોડા ગાળા માટે રક્ષણ મળી ગયું છે. જસ્ટિસ એકે પાઠકે વધુ એક મહિના માટે ચિદમ્બરમને રાહત આપી દીધી છે. અગાઉ ચિદમ્બરમને પાઠકે આજે મંગળવાર સુધી રાહત આપી હતી. હાઈકોર્ટે ૩૧મી મેના દિવસે પુછપરછમાં સામેલ થવા અને તપાસમાં સહકાર કરવા ચિદમ્બરમને સ્પષ્ટ સૂચના આપી હતી. સીબીઆઈ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવ્યા બાદ ચિદમ્બરમને આ પ્રકારના આદેશ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ આગોતરા જામીન અરજીનો વિરોધ કરવાની સુનાવણીની છેલ્લી તારીખ રજૂઆત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, ચિદમ્બરમે હાઈકોર્ટમાંથી રાહત મેળવવાના બદલે રાહત માટે સૌથી પહેલા ટ્રાયલ કોર્ટમાં રજૂઆત કરવી જોઇએ. આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમની જામીન અરજીમાં દલિલ કરવામાં આવી હતી કે, આ કેસમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. કેસમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું ન હતું. ૩૦મી મેના દિવસે ચિદમ્બરમે એરસેલ-મેક્સિસ કેસમાં ધરપકડથી રક્ષણ માટે ટ્રાયલ કોર્ટમાં રજૂઆત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આ કેસમાં ધરપકડથી બચવા ચિદમ્બરમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આઈએનએક્સ મિડિયા કેસમાં હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ૩.૦૫ અબજ રૂપિયા અથવા તો ૩૦૫ કરોડ રૂપિયાને આવરી લેતા આઈએનએક્સ મિડિયા કેસ અને ૩૫ અબજ રૂપિયા અથવા તો ૩૫૦૦ કરોડ રૂપિયાની એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસમાં તપાસ સંસ્થાઓના સકંજામાં ચિદમ્બરમની ભૂમિકા આવી ચુકી છે. આગામી દિવસો તેમના માટે મુશ્કેલીરુપ બની શકે છે. યુપીએ-૧ના શાસન દરમિયાન નાણામંત્રી તરીકે ચિદમ્બરમ હતા અને તે ગાળા દરમિયાન એફઆઈપીબી દ્વારા બે સંયુક્ત સાહસોને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં મોટાપાયે ગોટાળા થયા હતા. આઈએનએક્સ મિડિયા કેસમાં ૧૫મી મેના દિવસે ગયા વર્ષે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી. ૩૦૫ કરોડ રૂપિયાના ફંડના મામલામાં આ મામલો આગળ વધ્યો હતો. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં ૧૦ લાખ રૂપિયા મેળવવા બદલ તેમની સામે સકંજો મજબૂત કરાયો હતો અને ધરપકડ કરાઈ હતી. જો કે, કાર્તિને ૨૩મી માર્ચના દિવસે જામીન મળી ગયા હતા. આ કેસમાં અન્ય જે આરોપીઓ છે તેમાં આઈએનએક્સ મિડિયાના ડિરેક્ટર ઇન્દ્રાની મુખર્જી અને તત્કાલિન આઈએનએક્સ ન્યુઝ ડિરેક્ટર પીટર મુખર્જીનો સમાવેશ થાય છે.