ઉત્તર દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમાં એક સાથે ૧૧ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ લોકોએ સામૂહિકરીતે આત્મહત્યા કરી છે કે પછી સામૂહિક હત્યા કરવામાં આવી છે તેને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. સંતનગરના ગુરુગોવિંદસિંહ હોસ્પિટલની સામે આવેલા વિસ્તારમાં આ બનાવ સપાટી ઉપર આવ્યો છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ પરિવાર મૂળભૂતરીતે રાજસ્થાનનો રહેલો છે. સંતનગરમાં ગ્રોસરી શોપ અને પ્લાયવુડનો કારોબાર આ પરિવારનો રહેલો છે. આજે સવારે નિર્ધારિત સમય મુજબ છ વાગે ગ્રોસરીની દુકાન ન ખુલતા કેટલાક લોકોએ આ અંગે માહિતી મેળવવાના પ્રયાસો કર્યા હતા. પ્રયાસ કરવામાં આવતા એક જ જગ્યા પર પરિવારના ૧૧ લોકો મૃત હાલતમાં મળી આવતા તમામ લોકો ચોંકી ગયા હતા. સવારે ૭.૩૦ વાગે એક પડોશી પરિવારના લોકો પરિવારને જોવા માટે ગયા ત્યારે ચોંકી ગયા હતા. અંદર ખુબ જ ભયાકન સ્થિતિ હતી. એક સાથે તમામ મૃતદેહોને નિહાળ્યા બાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ આ ઘટનાની જડ સુધી પહોંચવા પોલીસ સામે પણ નવા પડકાર ઉભા થયા છે. એક મોટી વયની મહિલા પોતાના બે પુત્રોના ૧૧ લોકોના પરિવાર સાથે અહીં બે દશકથી રહેતી હતી. તેનો ત્રીજો પુત્ર ચિત્તોડગઢમાં રહે છે. આ વરિષ્ઠ મહિલાની એક વિધવા પુત્રી પણ તેમની સાથે રહેતી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આ મોટી વયની મહિલાનો મૃતદેહ જમીન ઉપર પડ્યો હતો. જ્યારે બાકીના ૧૦ મૃતકોની આંખો ઉપર પાટા બાંધેલા હતા અને તમામ રેલીંગ ઉપર લટકેલા હતા. દિલ્હી પોલીસના જોઇન્ટ સીપી રાજેશ ખુરાનાએ કહ્યું છે કે, મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો પણ સામેલ છે. પોલીસ દ્વારા દરેક એંગલથી મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર ઘરને સીલ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મોટી વયની મહિલાના પરિવારમાં બે પુત્રો, તેમની પત્નિઓ સહિત ૧૧ લોકો હતા. બે પુત્રોના નામ લલિત અને ભુપી ભાટિયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પુત્રવધુના નામ ટીના અને સવિતા ભાટિયા હોવાનું જાણવા મળ્યું છે. પુત્રીનું નામ બેબી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પરિવારના લોકોએ એક સાથે મોતનો રસ્તો કેમ પસંદ કર્યો તેને લઇને તપાસ ચાલી રહી છે. પરિવારના તમામ લોકોની હત્યા કરવામાં આવી છે કે પછી સામૂહિક આપઘાતનો કેસ છે તે મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર ઘરને સીલ કરી દઇને તપાસ હાથ ધરી છે. બીજી બાજુ એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, મૃત્યુ પામનારાઓમાં રહેલાઓના હાથ પગ બાંધેલા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બુરાડીના ધારાસભ્ય સંજીવ ઝા પણ ઘટનાસ્થલે પહોંચ્યા છે. આપઘાત અથવા તો હત્યાના કારણોમાં તપાસ ચાલી રહી છે પરંતુ વિગતને લઇને પોલીસ કોઇ નિવેદન કરવા તૈયાર નથી. મૃતહાલમાં મળી આવેલાઓમાં સાત મહિલાઓ અને ચાર પુરુષો સામેલ છે. એક પ્લાયવુડનો કારોબાર અને બીજાની પ્રોવિઝન સ્ટોરની દુકાન હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસથી જાણવા મળી રહ્યું છે કે, તમામે આપઘાત કર્યો છે પરંતુ પોલીસ વહેલીતકે કોઇ તારણ ઉપર પહોંચવા તૈયાર નથી. સીસીટીવી ફુટેજમાં તપાસ ચાલી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ