સ્વિસ નેશનલ બેંક તરફથી જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ગાળા દરમિયાન સ્વિસ બેંકમાં કાળા નાણાંમાં ૫૦ ટકાનો વધારો થવાના સંદર્ભમાં આજે ખુલાસો કરવામાં આવ્યો હતો. એકબાજુ મોદી સરકારની ચારેબાજુ ટીકા થઇ રહી છે ત્યારે આ સંદર્ભમાં આજે સરકાર તરફથી કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. પીયુષ ગોયલે મોદી સરકાર તરફથી વલણ સ્પષ્ટ કર્યું હતું. ગોયેલે કહ્યું હતું કે, આ મામલામાં કાળા નાણા અથવા તો ગેરકાયદે લેવડદેવડનો અંદાજ મુકવાની જરૂર દેખાતી નથી. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં ડેટા મળી જશે. નાણામંત્રી ગોયેલે કહ્યું હતું કે, ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સ્વિત્ઝર્લેન્ડની સાથે જે કરાર કર્યા છે જે મુજબ તેમના નાણાંકીય વર્ષના પૂર્ણ થવાના અવસરે તમામ ડેટા અમારી પાસે આવશે. સ્વિસ બેંકના રિપોર્ટ પર પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગોયેલે કહ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૮થી નાણાંકીય વર્ષ પૂર્ણ થવા સુધી તમામ ડેટા તેમની પાસે આવી જશે. આવી સ્થિતિમાં કાળા નાણાં અથવા તો ગેરકાયદે લેવડદેવડ અંગે અંદાજ મુકવો યોગ્ય નથી. વિદેશોમાં જમા કરવામાં આવેલા કાળા નાણાંના સંદર્ભમાં વધારા અંગે તેમણે કહ્યું હતું કે, સ્વિસ બેંકમાં રહેલા નાણાંના સંદર્ભમાં માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરફથી પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સ્વિત્ઝર્લેન્ડના નવા અહેવાલ મુજબ ભારતીયો દ્વારા સ્વિસ બેંક ખાતામાં જમા કરવામાં આવેલા નાણા ૨૦૧૭માં ૫૦ ટકા વધીને ૭૦૦ કરોડ રૂપિયા સુધીનો આંકડો પહોંચી ગયો છે. આ સંદર્ભમાં સરકાર તરફથી આજે ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડ સાથે ભારતની સમજૂતિ થયેલી છ ેજેના ભાગરુપે માહિતીની આપલે થશે. તેમણે ઉમેર્યું હતું કે ગયા નવેમ્બર મહિનામાં ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે માહિતીની ઓટોમેટિક આપલેના સંદર્ભમાં એક સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે હેઠળ બંને દેશો ૨૦૧૮માં ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ માહિતીની આપલે કરશે. ૨૦૧૯થી આની શરૂઆત થઇ જશે. સ્વિસ બેંકના આંકડાના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે, પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી અંત સુધીના આંકડા સરકારને મળી જશે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સરકાર દ્વારા કાળા નાણાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેમાં બ્લેકમનીને રોકવા નવા કાયદાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્કમ ડિકલેરેશન સ્કીમ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં આ મુદ્દે સરકારને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ લડાયક મૂડમાં આવી ગઈ છે. સુરજેવાલાએ કહ્યું છે કે, અચ્છે દિનની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી અચ્છે દિનની વાત દેખાતી નથી. ભારતીયો દ્વારા સ્વિસ બેંક ખાતામાં જમા કરવામાં આવેલા નાણાંના સંદર્ભમાં આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આક્રમક બનીને ભાજપને ભીંસમાં લેવાના પ્રયાસ કરી શકે છે. મોનસુન સત્રમાં પણ આ મુદ્દો જોરદારરીતે ઉઠે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ