મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આજે બપોરે એક ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનામાં પાંચ લોકોના મોત થઇ ગયા હતા. મૃત્યુ પામનારમાં બે પાયલોટ, બે ફ્લાઇટ એન્જિનિયરિંગ અને માર્ગ ઉપર કામ કરનાર એક કર્મચારી સામેલ છે. પહેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું હતું. મોડેથી સરકારે આ અહેવાલને રદિયો આપ્યો હતો. ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ડીજીસીએ દ્વારા પણ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘાટકોપરમાં જાગૃતિ ઇમારતની નજીક નિર્માણ હેઠળ રહેલી એક ઇમારત પર ચાર્ટર્ડ વિમાન તુટી પડ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વીટી-યુપી ઝેડ વિમાન વર્ષ ૨૦૧૪ સુધી યુપી સરકારનું વિમાન હતું. મોડેથી યુપી સરકારે આને યુવાય એવિએશનને વેચી દીધું હતું. આ વિમાનમાં કેટલા લોકો હતા તે સંદર્ભમાં શરૂઆતમાં માહિતી મળી શકી ન હતી. જો કે, મોડેથી બે પાયલોટ, બે એન્જિનિયર અને એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલને સમર્થન મળ્યું હતું. પોલીસે વિગત આપતા કહ્યું હતું કે, ૧૨ સીટનું કિંગએર સી-૯૦ વિમાન જુહુ વિમાની મથકથી રવાના થયું હતું પરંતુ ઘાટકોપરના જાગૃત્તિ નગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને ઘાટકોપર સ્થિત રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ આગ ફાટી નિકળી હતી જેને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો. આ વિમાન મુંબઈ વિમાની મથકના રનવે ૨૭થી ત્રણ કિલોમીટરના અંતરે સ્થિત હતું તે વખતે દુર્ઘટના થઇ હતી. થોડાક સમય માટે મેઇન રવેને બંધ કરવાની ફરજ પડી હતી.
પાછલી પોસ્ટ