સાર્વભૌમ રાષ્ટ્રનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ પર કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે કરેલ અશોભનીય નિવેદન પર સમગ્ર ગુજરાત રાજ્યમાં બધા જ જિલ્લામાં ધરણા, દેખાવો અને પુતળા દહન દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. ડભોઈ ખાતે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાની કોંગ્રેસની વેરઝેરની ભાષા છે. નર્મદા યોજનામાં સતત રોડા નાંખીને નર્મદાને રોકવાની કોંગ્રેસની ભાષા નર્મદા વિરોધી છે. કોંગ્રેસની ભાષા ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ વિરોધી છે. સર્જિકલ સ્ટ્રાઇક સમયે કોંગ્રેસની ભાષાએ પાકિસ્તાનની ભાષા હતી હવે, કાશ્મીરના મુદ્દે કોંગ્રેસ લશ્કરે તોઇબાની ભાષા બોલે છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયમંત્રી સૈફુદ્દીન સોઝે સરદાર પટેલ સાહેબની અખંડિતતા અને દેશભક્તિ ઉપર સવાલો ઉભો કરીને હદ કરી નાંખી છે. આ સૈફુદ્દીન સોઝે કાશ્મીર મુદ્દે હજુ પણ જવાહર લાલ નહેરુને છાવરવાનું કામ કર્યું અને દોષનો ટોપલો સરદાર સાહેબ ઉપર ઢોળવાનો બાલિસ પ્રયાસ કર્યો છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા મુકવાની કોંગ્રેસની યુપીએ સરકારે ૧૦ વર્ષ સુધી મંજુરી ન હતી આપી તે મંજુરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી માત્ર ૧૭ દિવસમાં જ મંજુરી આપી દીધી હતી. નર્મદા ડેમના દરવાજાના લોકાર્પણનું કાર્ય ડભોઈ ખાતે પૂર્ણ થયું હતું ત્યારે નર્મદા વિરોધી સૈફુદ્દીન સોઝે કોર્ટમાં એફિડેવિટ કરીને નર્મદા યોજનાને અટકાવવા માટેનું કામ કર્યું હતું. દેશના ૫૬૫ રજવાડાઓને એક કરીને દેશની અખંડિતતાનું ઐતિહાસિક કાર્ય કરે છે તેવા સરદાર સાહેબનું નામ આજે સૈફુદ્દીન સોઝે કાશ્મીર સાથે જોડીને હદની હદ કરી નાંખી છે. પંડ્યાએ જણાવ્યું હુતં કે, એક એક ગુજરાતીના હૃદયમાં સરદાર પટેલ વિશે કોંગ્રેસન ાનેતાએ કરેલા આવા નિમ્નકક્ષાના વિચારો સાંભળીને આઘાત લાગ્યો છે.