પતંજલિ આર્યુવેદ ઉત્તરપ્રદેશમાં મહાકાય ફુડ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. જેના પરિણામસ્વરૂપે આશરે ૧૦ હજાર લોકોને સીધી રીતે રોજગારી મળી જશે. પતંજલિ આર્યુવેદની તમામ શરતો સ્વીકારવા માટે પ્રદેશ સરકાર તૈયાર થઇ ગઇ છે. જેના ભાગરૂપે હવે ૧૨મી જુનના દિવસે યોજાનાર કેબિનેટ બેઠકમાં પતંજલિના ફુડ પાર્કને જમીન આપવા સાથે સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે. ઇન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા પણ આના માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. બુધવારના દિવસે આના માટે કેબિનેટ નોંધ તૈયાર કરી લેવામાં આવી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ બાદ મુખ્ય સચિવના નેતૃત્વમાં બેઠક થઇ હતી. બેઠકમાં પતંજલિને યમુના એક્સપ્રેસ વે પર ફાળવી દેવામાં આવેલી ૪૫૫ એકર જમીનમાં ૮૬ એકર જમીન પતંજલિ ફુડ એન્ડ હર્બલ પાર્ક માટે સોંપવાાં આવનાર છે. ઇન્ડસ્ટ્રીઝ વિભાગના એક અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે ફુડ પાર્ક માટે જમીન સોંપવાની કામગીરીથી પતંજલિની એસપીવીને ફુડ પાર્ક સ્થાપિત કરવામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી રાહતોનો લાભ પણ મળી શકશે. આના કારણે પતંજલિને આશરે ૧૫૦ કરોડ રૂપિયાનો જંગી ફાયદો થનાર છે. અખિલેશ સરકાર દ્વારા ૨૦૧૬માં પતંજલિ આર્યુવેદને ૪૫૫ એકર જમીન આપી હતી.
અગાઉની અખિલેશ યાદવ સરકારે આ નિર્ણય કેબિનટ સ્તર પર લીધો હતો. જેથી રાજ્ય સરકાર ૮૬ એકર જમીન ફુડ પાર્ક માટે આપવાનો પ્રસ્તાવ લઇને આવનાર છે. ફુડ પાર્ક શરૂ થયા બાદ ૧૦ હજાર લોકોને નોકરી મળી શકે છે.