પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણી અને પંચાયત ચૂંટણીના પરિણામથી સંકેત મળી રહ્યા છે કે મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ગઢમાં પણ ગાબડા પાડવાની સ્થિતીમાં ભાજપ હવે છે. પંચાયતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારી જોરદાર રીતે વધી હતી. રસપ્રદ બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ હિસ્સો વધી રહ્યો છે. આ બાબતથી ઉત્સાહિત થઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે હવે તમામ ધ્યાન બંગાળ પર કેન્દ્રિત કરી દીધુ છે. અમિત શાહે લોકસભા ચૂટણી જીતવા માટેના ઇરાદાથી બંગાળમાં ધ્યાન આપ્યુ છે. અમિત શાહ લાંબા સમય બાદ ફરી બંગાળ પહોંચી રહ્યા છે. શાહ ૨૭-૨૮ જુનના દિવસે બંગાળમાં પહોંચી જનાર છે. તેમની સંઘ, હિન્દુવાદી સંગઠનો અને પાર્ટી નેતાઓ સાથે બેઠક થનાર છે જેમાં ૨૦૧૯ની ચૂંટણી તૈયારીની સમીક્ષા કરવામાં આવનાર છે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ ભાજપે રાજ્યમાં ઓછામાં ઓછી ૨૦ લોકસભા સીટ જીતવા માટે તૈયારી કરી છે. છેલ્લી ચૂંટણીમાં તેની માત્ર બે સીટ હતી. વધતા જતા મત હિસ્સાના કારણે સીટ વધી જવાની શક્યતા છે. મહેશતલામાં પાર્ટીની મત હિસ્સેદારી આઠ ટકાથી વધીને ૩૫ ટકા થઇ ગઇ છે. ભલે પાર્ટી ત્યાં મોટા અંતરથી બીજા સ્થાને રહી છે પરંતુ તેના સંકેત સારા દેખાઇ રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ તમામ ૨૦ સીટ પર ચૂંટણી લડવા મામલે નેતાઓને પણ લોકોના સંપર્કમાં લાગી જવા માટે કહેવામાં આવ્યુ છે. આ બાબત ઉપયોગી છે કે છેલ્લી ચૂંટણીમાં શાહે દરેક બુથમાં એક પાર્ટી વર્કરને મુકી દીધા હતા. પંચાયતી ચૂંટણી દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થઇ હતી. શાહની રણનિતી સાબિત કરે છે તેઓ ટીએમસી કરતા પણ આગળ વધીને જવા માટે તૈયાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બંગાળમાં હવે મમતા બેનર્જીની સ્થિતી નબળી બની રહી છે. પાર્ટીને આદિવાસી વિસ્તારોમાં મોટો ફટકો પડ્યો છે. જ્યાં તેનુ નેટવર્ક નબળુ થઇ ગયુ છે. આદિવાસી વિસ્તારોમાં પાંચ જિલ્લામાં પંચાયતી ચૂંટણીમાં ભાજપ સામે મમતાએ અનેક સીટો ગુમાવી હતી. પંચાયતી ચૂંટણીમાં ભાજપનો દેખાવ શાનદાર રહ્યો હતો. ઝારગ્રામ, બંકુરા, પુરુલિયામાં સૌથી વધારે નુકસાન મમતા બેનર્જીને થયું હતું જ્યારે બીજી બાજુ ભાજપે પંચાયત ચૂંટણીમાં ઓછામાં ઓછી ૩૦થી ૪૦ ટકા સીટો પર કબજો જમાવી લીધો હતો. આ વિસ્તારમાં ભાજપે ખુબ શાનદાર દેખાવ કર્યો હતો.
પાછલી પોસ્ટ