કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્ય એકમોમાં મોટા ફેરબદલ કરતા પાર્ટીના મહાસચિવ દિગ્વિજયસિંહ પાસેથી આંધ્રપ્રદેશનો પ્રભાર લઈ લીધો છે. રાહુલ ગાંધીએ દિગ્વિજયસિંહના સ્થાને હવે કેરળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમન ચાંડીને આંધ્રપ્રદેશ ખાતે કોંગ્રેસનો પ્રભાર સોંપ્યો છે. આ સિવાય સી. પી. જોશી પાસેથી પશ્ચિમ બંગાળ અને અંદમાન-નિકોબાર ટાપુઓ ખાતે કોંગ્રેસ પ્રભારીનું પદ લઈ લેવામાં આવ્યું છે.તેમના સ્થાને ગૌરવ ગોગોઈને પશ્ચિમ બંગાળ અને અંદમાન અને નિકોબાર ખાતે કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. તાજેતરમાં દિગ્વિજયસિંહને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે રચવામાં આવેલી સમન્વય સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પાસે મહાસચિવ તરીકે તેલંગાણા ખાતે પાર્ટીની જવાબદારી છે. રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સી. પી. જોશી પાસેથી તાજેતરમાં બિહાર ખાતેનો પાર્ટીનો પ્રભાર પાછો લેવામાં આવ્યો હતો. તેમના સ્થાને શક્તિસિંહ ગોહિલને બિહાર ખાતે કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ સી. પી. જોશી પાસે આસામની જવાબદારી સાથે પૂર્વોત્તરના કેટલાક રાજ્યોનો વધારાનો પ્રભાર છે.
આગળની પોસ્ટ