કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાના રાજીનામા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદીને ભ્રષ્ટાચારી તરીકે ગણાવ્યા હતા. સાથે સાથે ભાજપ પ્રમુખ અમિત શાહને હત્યાના આરોપી તરીકે કહીને સંબોધન કર્યું હતું. રાહુલે કહ્યું હતું કે કર્ણાટકના સમગ્ર ઘટનાક્રમથી ભાજપની વિચારધારાની હાર થઈ છે. રાહુલે કહ્યું હતું કે ભાજપ અને સંઘે લોકતંત્રનું અપમાન કરવામાં કોઈ કસર છોડી ન હતી. રાહુલે પત્રકાર પરિષદની શરૂઆતમાં કહ્યું હતું કે વિધાનસભામાં સમગ્ર કવાયત બાદ ભાજપના ધારાસભ્યો અને રાજ્યપાલ રાષ્ટ્રગીતને પૂર્ણ કર્યા વગર જ ગૃહમાંથી જતા રહ્યા હતા. રાહુલે ઉમેર્યું હતું કે અમારી લડાઈ આની સામે છે. સરકારમાં હોવાથી કોઈનું પણ અપમાન કરવામાં આવે તે બાબત યોગ્ય નથી. દેશની કોઈપણ સંસ્થાનું સન્માન કરવારમાં આવી રહ્યું નથી. રાહુલ ગાંધીએ ભાજપ પ્રમુખ અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી અને હત્યાના આરોપી અમિત શાહને કર્ણાટકની પ્રજાએ જવાબ આપ્યા છે. ભાજપ અને સંઘના લોકો અનેક વખત દેશનું અપમાન કરી ચુક્યા છે. તેઓએ જનતાના ચુકાદાનું અપમાન કર્યું છે. કર્ણાટક, ગોવા અને મણીપુર આના દાખલા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ અને સંઘના લોકો કર્ણાટકની હારથી બોધપાઠ લેશે. મોદી દેશમાં ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં તેઓ પોતે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ટેલિફોન ઉપર વાતચીત સહિત તમામ એવા પુરાવા છે જે દર્શાવે છે કે ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ખરીદવા માટે ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓ વડાપ્રધાનને સંદેશો આપવા માંગે છે કે પીએમ દેશની પ્રજાથી મોટા નથી. તેઓ દેશથી મોટા પણ નથી. સંસદ અથવા સુપ્રિમ કોર્ટથી મોટા પણ નથી. મોદી કોઈની પણ વાત સાંભળતા નથી. તેઓ માત્ર સંઘના લોકોની વાત સાંભળી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે સમગ્ર વિપક્ષના લોકો એકસાથે રહ્યા છે તે અમારા માટે ગર્વની બાબત છે અને ભાજપને હાર આપી છે. વિપક્ષ આ રીતે જ ભવિષ્યમાં પણ એકમત રહેશે. કર્ણાટકના લોકોના અવાજની સુરક્ષા કરવામાં આવી છે. ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યું છે.
આગળની પોસ્ટ