સમગ્ર ગુજરાતમાં રાજ્ય સ્થાપના દિનથી સુજલામ-સુફલામ યોજના હેઠળ પ્રારંભાયેલુ રાજ્યવ્યાપી જળસંચય અભિયાન જિલ્લામાં ક્રમશઃ આગળ ધપી રહ્યું છે. નર્મદા જિલ્લામાં પણ શરૂ કરાયેલા જળયજ્ઞમાં સાંજરોલી, મોસ્કુવા, મોટા લીમટવાડા, લાડવા ગામોએ તળાવ ઉંડા કરવાની કામગીરી પૂર્ણ થવાની સાથે ખામપાડા તથા જુનવડ ગામોએ પણ ચેકડેમ ડિસીલ્ટીંગની કામગીરી પૂર્ણ થઇ છે. આ કામો પૂર્ણ થવાને લીધે જે તે વિસ્તારમાં જળસંચય થયેથી લીધે પાણીના સ્તર હવે ઉંચા આવશે, જેનો સીધો લાભ જે તે ગામના ગ્રામજનોને થશે.
નર્મદા જિલ્લામાં પ્રજાની જનભાગીદારી-લોકસહયોગથી જળસંચય અભિયાનની થઇ રહેલી આગેકૂચમાં પ્રજાજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેમના સહયોગ થકી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યાં છે. ગરૂડેશ્વર તાલુકાના ઉંડવા ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા કાર્યક્રમ હેઠળ અંદાજે રૂા.૧.૨૫ લાખના ખર્ચે ચેકડેમ ડિસીલ્ટીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે એકાદ દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે. અહીં ૪૩ જેટલા શ્રમિકો તેમના શ્રમદાન થકી પોતાના જ ઘરઆંગણે રોજગારી મેળવીને જળસંચયના આ મહાયજ્ઞમાં તેમની આહુતિ આપી રહ્યાં છે.
ઉંડવા ખાતે ચેકડેમ ડિસીલ્ટીંગની ચાલી રહેલી કામગીરીના સ્થળે ગરૂડેશ્વરના એ.પી.ઓ. શ્રી સંકેતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ચોમાસાના પાણીથી જમીનના થયેલા ધોવાણને લીધે છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ચેકડેમમાં થયેલા પાણીના ભરાવાનો નિકાલ કરીને પાણીના સ્તર ઉંચા આવે તેવા આશયથી આ કામનો નરેગા દ્વારા સૌ પ્રથમ સમાવેશ કરીને જળસંચય અભિયાનમાં આ કામ હાથ ધરાયું છે.
શ્રી સંકેતભાઇ વસાવા વધુમાં ઉમેરે છે કે, અહીંના ચેકડેમ ડીસીલ્ટીંગની કામગીરીમાં ૯૨૫ ઘનમીટર વિસ્તાર આવરી લેવાયો છે. આગામી એકાદ દિવસમાં આ કામગીરી પૂર્ણ થયેથી ૧૦૨૦ માનવદિન રોજગારી ઉત્પન્ન થશે અને અંદાજે રૂા.૧.૨૫ લાખની રોજગારી પુરી પડાશે. નદીની લંબાઇમાં વ્હેણ ધીરૂં પડતું હોય ત્યાંથી ડીસીલ્ટીંગના કારણે ચાલુ વર્ષે ૧૦૦ મીટર જેટલો પાણીનો સંગ્રહ થવાની સંભાવના છે. ખેડૂતોને, આજુબાજુના કુવા-બોરના પાણીના સ્તર લાંબાગાળા સુધી ઉંચા રહેશે. પિયતમાં સગવડ મળવાથી વર્ષાઋતુ સિવાય શિયાળા – ઉનાળાની ઋતુમાં પણ પશુધનને પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે અને આ કામને લીધે બે વર્ષ સુધી ઉક્ત લાભો મળવાથી આ કામ ગ્રામજનો માટે આશિર્વાદરૂપ બની રહેશે.
ટેકનીકલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ વર્કસ મેનેજરશ્રી મીથુનભાઇ વસાવાએ પણ ઉંડવા ગામે ચાલી રહેલી ઉક્ત ડીસીલ્ટીંગની કામગીરી સંદર્ભે જરૂરી ટેકનીકલ જાણકારી સાથેની માહિતી પણ પુરી પાડી હતી.
ઉંડવા ગામે ચેકડેમ ડિસીલ્ટીંગની કામગીરી ઉપરાંત હયાત ગામ તળાવને (સાંકળ ફળીયુ) પણ ઉંડુ કરવાની ગત તા. ૨ જી મેથી ચાલી રહેલી કામગીરી આગામી ચારેક દિવસમાં પૂર્ણ થશે, આ કામના સ્થળ ઉંડવા ગામના માજી સરપંચશ્રી તડવી કિશોરભાઇ કાશીરામભાઇ જણાવે છે કે, હાલમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબની સુજલામ-સુફલામ યોજનામાંથી તળાવો અને ચેકડેમ ઉંડા કરવાના જે કામો ચાલી રહ્યાં છે, તેવા બે કામો મારા ગામમાં ચાલી રહ્યાં છે. એક તળાવ ઉંડુ કરવાનું અને બીજુ ચેકડેમ ઉંડો કરવાનું કામ ચાલે છે. એનાથી અમારા ગામને અને આજુબાજુના ખેડૂતોને ઘણો એવો ફાયદો થશે. હાલ અમારા ગામમાં એપ્રિલ-મે મહિનામાં પાણીના સ્તર નીચા જાય છે. આ તળાવ અને ચેકડેમમાં પાણી ભરાવાથી હેન્ડપંપના પાણીના તળ ઉંચા આવશે. ગામમાં ખેડૂતોના ખેતરમાં કુવા છે એના પાણીના તળ ઉંચા આવશે અને આ તળાવ બનવાથી – ચેકડેમ ઉંડા થવાથી આખા ગામને તેમજ ખેડૂતોને ઘણો ફાયદો થશે. જેથી કરીને ખેડૂતો પોતે પગભર થશે. હાલમાં પીવાના પાણીની તકલીફ તો નથી જ પણ તળાવ – ચેકડેમ ઉંડા થવાથી બીજો ફાયદો એ થશે કે ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે અને ન્હાવા-ધોવા માટે તળાવ બનવાથી સારી એવી સુવિધા મળી રહેશે.
આ ગામના શ્રમિક લાભાર્થી શ્રી જેસલભાઇ માણેકભાઇ જણાવે છે કે, અહીં અમે ચેકડેમનું કામ કરીએ છીએ. આ ચેકડેમ સુકી ખાડીની બાજુમાં આવેલો છે અને આ કામ કરવાથી અમારા ગામની અંદર પાણીનું તળ ઉંચુ આવશે. આજુબાજુની જમીનવાળા ભાઇઓને પિયત કરવા માટે પણ પાણી મળશે તેથી અમને ઘણો ખરો ફાયદો થશે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારની જે આ યોજના છે, તેવી યોજના અમને દર વર્ષે મળે તેવી લાગણી સાથે અમે સરકારનાં આભારી છે અને બીજી એક વાત અમારા જેવા ગરીબ આદિવાસીઓને સારૂં કામ મળતું રહેશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ કામના અન્ય લાભાર્થી સુખીબેન રમેશભાઇ તડવી જણાવે છે કે, આ તળાવ ખોદવાની કામગીરીથી અમને ગામમાં જ રોજગારી મળે છે અને તેથી ક્યારેય બહાર જવું પડતું નથી. કારણ કે આ તળાવ ખોદવામાં પાણીના સ્તર ઉંચા આવે અને ખેડૂતોને કામમાં આવે અને આવી યોજના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે કાઢી છે તો અમને ઘણો જ ફાયદો થાય છે અને દર વર્ષે તેનો લાભ મળે એવી આશા રાખીએ છીએ જેથી અમને રોજગારી માટે બહાર જવું પડે નહીં.