કર્ણાટકના ચિત્રદુર્ગ સહિત અનેક જગ્યાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના દિવસે પણ જોરદાર પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર આક્ષેપોનો મારો જારી રાખ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરોને સન્માન આપવાના બદલે સુલ્તાનોનું સન્માન કર્યું છે. મોદીએ કોંગ્રેસ પાર્ટી પર દલિત અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, જે પાર્ટી ગરીબોની વેલ્ફેર કરી શકતી નથી તે પાર્ટીનું લોકોએ ફેરવેલ કરી દેવું જોઇએ. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દિલવાળી પાર્ટી પણ નથી અને દલિતવાળી પાર્ટી પણ નથી. આ પાર્ટી ડિલવાળી પાર્ટી છે. મોદીએ ઉમેર્યું હતું કે, દલિત સમુદાયના લોકોનું પણ કલ્યાણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ માટે સુલ્તાનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે કર્ણાટકના લોકોનું અને ખાસ કરીને ચિત્રદુર્ગના લોકોનું અપમાન કર્યું છે. ચિત્રદુર્ગના વીર યોદ્ધાઓ અને દલિતોના લીડરોની હત્યા કરીને જ્યંતિ મનાવનાર કોંગ્રેસ પાર્ટીએ શક્તિશાળી લોકોનું હંમેશા અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાઓને લોકો તેમની ડિલના કારણે વધારે ઓળખે છે. મોદીએ દલિત કલ્યાણના નામ ઉપર લોકોને ગેરમાર્ગે દોરવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો હતો. વોટબેંક માટે લોકોનું અપમાન અક્ષમ્ય અપરાધ છે. જો કોંગ્રેસના ઇતિહાસ તરફ નજર કરવામાં આવે તો જાણવા મળશે કે મોટા મોટા નેતાઓને અપમાનિત કરવામાં આવ્યા હતા. અહીંના સપૂત અને આધુનિક કર્ણાટકના નિર્માતા પૂર્વ મુખ્યમંત્રી નિજલિંગપ્પાને અપમાનિત કરવામાં કોંગ્રેસે કોઇ તક છોડી ન હતી. નિજલિંગપ્પાની ભૂલ એટલી હતી કે, નહેરુની ખોટી નીતિઓ સામે તેમના દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બાબા સાહેબનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં ચિત્રદુર્ગ બાદ જમાખંડીમાં પણ રેલી સંબોધી હતી અને કહ્યું હતું કે, આજે દલિત માતાનો પુત્ર રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે સોનિયા ગાંધીને તેમને મળવાનો પણ સમય મળ્યો નથી.
હારના ડરથી સિદ્ધારમૈયા અન્ય જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, અમે કર્ણાટકને કોંગ્રેસ દ્વારા વિભાજિત કરવાની તક આપીશું નહીં. અહીં જાતિવાદના ઝેર ઘોળવાના પ્રયાસ થઇ રહ્યા છે. કર્ણાટકને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઇ જવામાં આવશે. દલિતો પ્રત્યે કોંગ્રેસને ક્યારે પણ લાગણી રહી નથી. જો લાગણી રહી હોત તો આજે તેમની આ દુર્દશા ન થઇ હોત. સત્તા મેળવવા માટે જાતિઓ વચ્ચે વિભાજનની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.