સીપીઆઇએમના મહામંત્રી સીતારામ યેચુરીએ લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોનું મહાગઠબંધન રચાવાની શક્યતાને નકારી કાઢી છે. સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે આ પ્રકારના મહાગઠબંધનની જાહેરાત લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ જ થઇ શકે.
તેમણે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે મારું એવું માનવું છે કે ચુંટણી પહેલાં કોઇ પણ મહાગઠબંધનની રચના શકય નથી, કારણ કે આપણો દેશ વૈવિધ્યથી સભર છે. તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૬માં જેવું બન્યું હતું એવું જ તમને આ વખતે જોવા મળશે કે જ્યારે સંયુકત મોરચાએ સરકાર બનાવી હતી અને ર૦૦૪માં જ્યારે યુપીએ-૧ સરકાર બની હતી.
સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે દેશના લોકો કેન્દ્રની પ્રજા વિરોધી સરકારથી છુટકારો ઇચ્છે છે, પરંતુ વૈકલ્પિક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક સરકાર લોકસભાની ચૂંટણી બાદ જ બની શકે છે. સીપીઆઇએમના મહામંત્રીએ જણાવ્યું હતું કે પ્રાદેશિક ધર્મનિરપેક્ષ બળો પણ સામાન્ય ચૂંટણી બાદ સંગઠિત બનશેે, જોકે તેમણે વૈકલ્પિક ધર્મનિરપેક્ષ મોરચાનું નામ જાહેર કર્યું ન હતું.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ