કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતુ ંકે, તે રાષ્ટ્રના હિતમાં સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હેઠળ રામસેતુને કોઇ નુકસાન પહોંચાડશે નહીં. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પીઠની સમક્ષ એફિડેવિટ રજૂ કરીને મોદી સરકારે કહ્યું છે કે, ભાજપ નેતા સુબ્રમણ્મય સ્વામીની અરજીને અમારા વલણને જોતા રદ કરવામાં આવી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સેતુસમુદ્રમ પ્રોજેક્ટને રદ કરવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. શિપિંગ પ્રધાને પોતાની એફિડેવિટમાં કહ્યું છે કે, હવે સ્વામીની અરજી રદ કરી દેવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ.
મંત્રાલયે પોતાના એફિડેવિટમાં કહ્યું છેકે, ભારત સરકાર રાષ્ટ્રના હિતમાં રામસેતુને કોઇપણ નુકસાન કર્યા વગર સેતુ સમુદ્રમ શિપ ચેનલ પ્રોજેક્ટના પહેલા નક્કી કરવામાં આવેલા વિકલ્પ ઉપર વિચારણા કરે. કેન્દ્ર તરફથી રજૂઆત કરતા વધારાના સોલીસીટર જનરલ પિન્કી આનંદે કહ્યું હતું કે, કેન્દ્રએ પહેલાથી જ આપવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ જવાબ રજૂ કરવામાં આવ્યા છે અને અરજી હવે રદ કરવામાં આવી શકે છે. સ્વામીએ શિપ ચેનલ પ્રોજેક્ટની સામે જનહિત અરજી રજૂ કરીને કેન્દ્ર સરકારને પ્રાચીન રામસેતુને હાથ ન લગાવવા માટેના નિર્દેશો જારી કરવા માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, યુપીએ સરકારના ગાળા દરમિયાન રામસેતુને તોડીને યોજનાને આગળ વધારવાને લઇને ભાજપે વિરોધ કર્યો હતો અને આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું. સુબ્રમણ્યમ સ્વામીની અરજી ઉપર કેન્દ્ર સરકારે એફિડેવિટ રજૂ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહ્યું છે કે, સેતુ સમુદ્રમ પ્રોજેક્ટમાં કોઇપણ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં.
પાછલી પોસ્ટ