શેરબજારમાં આજે મંદી રહી હતી. કારોબારના અંતે સેન્સેક્સમાં ૧૧૫ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૪૫૦૧ રહી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૪ પોઈન્ટ ઘટીને ૧૦૫૭૧ની નીચી સપાટીએ રહ્યો હતો. કંપનીના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ અપેક્ષા કરતા અલગ રહ્યા બાદ ભારતી એરટેલના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઈન્ડસ ટાવર સાથે તેના મોબાઈલ યુનિટના મર્જરને મંજુરી મળી ચુકી છે. સેકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઈન્ડેક્ષમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. હિન્ડાલકોના શેરમાં ૧.૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ વૈશ્વિક બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. એશિયન બજારના શેરમાં કડાકો જોવા મળ્યો હતો. હાલમાં પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે એક્સિસ બેંક, બાયો કોન અને યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે બંધન બેંક, મારુતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેમના આંકડા જારી કરનાર છે. એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ ગુરુવારના દિવસે થઇ રહી છે. ઉત્તર કોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કોઇ નવા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરશે નહીં. બીજી બાજુ યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ગુરુવારના દિવસે મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવનાર છે. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેનું નીતિવલણ જારી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને નવી ઉંચાઈ ઉપર બંધ રહ્યા હતા. સેંસેક્સ ૧૬૬ પોઇન્ટ ઉછળીને ૩૪૬૧૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬૧૪ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૩૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં હાલમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. મોટા ભાગના કારોબારીઓ હાલમાં સાવધાનીપૂર્વક વલણ અપનાવી રહ્યા છે. કારોબારીઓ હાલમાં કોઇ જોખમ લેવા માટે તૈયાર નથી. શેરબજારમાં અવિરત ઉતારચઢાવના માટે કેટલાક કારણો સ્થાનિક અને કેટલાક વિદેશી રહેલા છે. ટીસીએસની માર્કેટ મુડીમાં હાલમાં થયેલા ઉલ્લેખનીય વધારાની અસર પણ જારમાં જોવા મળી રહી છે. બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે તે પરિણામ પર સૌથી વધારે કારોારીઓની નજર રહેલી છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.