ભાજપના ભૂતપૂર્વ મંત્રી માયાબેન કોડનાની વર્ષ ૨૦૦૨માં થયેલા નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં નિર્દોષ છુટી ગયા બાદ હવે ગાયનેક તરીકેની પોતાની પ્રેક્ટિસ ફરી શરૂ કરવા માટે ઇચ્છુક છે. ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ તેમને નિર્દોષ છોડ્યા હતા. ચુકાદા બાદની લાઇફ અંગે માયાબેન ખુબ જ આશાવાદી દેખાઈ રહ્યા છે. તેનું કહેવું છે કે, તેમના પતિ સુરેન્દ્ર કોડનાની અને પરિવારના અન્ય સભ્ય તરફથી જોરદાર ટેકો તેમને મળ્યો છે. મુશ્કેલમાં નિકળેલા ૧૦ વર્ષનો કડવો અનુભવ તેમની સાથે રહેલો છે. નરોડા પાટિયા હત્યાકાંડ કેસના ચુકાદાને વાસ્તવિકતાની જીત તરીકે ગણાવીને માયાબેને કહ્યું છે કે, આ ખરાબ અનુભવને યાદ રાખવા માટે તેઓ ઇચ્છુક નથી. આ પ્રકરણથી કેટલાક બોધપાઠ તેઓ લઇ ચુકી છે. તેમનું કહેવું છે કે, એક તબીબ તરીકે સામાન્ય જીંદગી જીવવા માટે તેઓ ઇચ્છુક છે. સક્રિય રાજનીતિમાં ફરી સામેલ થવાની યોજના અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેઓ હંમેશાથી ભાજપના વફાદાર અને સક્રિય સભ્ય તરીકે રહ્યા છે. સક્રિય રાજકારણમાં પરત ફરવાની વાત કરવી તેમના માટે યોગ્ય નથી. કારણ કે, હાલમાં જ ચુકાદો આવ્યો છે. માયાબેનનું કહેવું છે કે, કટોકટીના સમયમાં તેમની સાથે રહેલા તમામ લોકોનો તેઓ આભાર માને છે. અત્રે નોંધનીય છે કે, હાઈકોર્ટે હાલમાં જ મહત્વનો ચુકાદો આપ્યો હતો. તેમના પતિએ હમેશા મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો છે. તેમના માટે પરિવારના સભ્યો કરોડરજ્જુ સમાન રહી છે. મુશ્કેલ સમયમાં પણ તેઓ હિંમતપૂર્વક આગળ વધી શક્યા છે. મુશ્કેલ સમય માટે તેઓ કોઇને દોષિત ગણવા માંગતા નથી. ભાજપના કેટલાક નેતાઓ અને વર્કરો તેમને મળવા માટે આવ્યા છે અને શુભેચ્છાઓ પણ પાઠવી છે. પાર્ટીમાં પોતાને કઇ જગ્યાએ જુએ છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેઓ ભાજપના કાર્યકર તરીકે છે.
આગળની પોસ્ટ