આજના આધુનિક અને વિજ્ઞાનના જમાનામાં પણ લોકો પોતાની માનસિક નબળાઇ અને ડરના કારણે અંધવિશ્વાસ, વહેમ અને તંત્ર-મંત્રના તૂતનો શિકાર બનતા હોય છે. અખબારોમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતાં હોય છે પરતુ તેમછતાં લોકો તેમાંથી બોધપાઠ કે શીખ લેતા નથી. શહેરના નરોડા અને ખોખરા વિસ્તારમાં તાંત્રિક અને ભુવાની ઠગાઇ અને છેતરપીંડીનો ભોગ બનવાના બે સંવેદનશીલ કિસ્સામાં સામે આવ્યા છે. જેમાં નરોડામાં તો એક પરિણિતાને સંતાન પ્રાપ્તિના બહાને આરોપી તાંત્રિક ઠાકરસિંહ પ્રજાપતિએ એક વર્ષ સુધી પરિણિતાને દુષ્કર્મનો ભોગ બનાવ્યાની ગંભીર ફરિયાદ નરોડા પોલીસમથકમાં નોંધાઇ છે. તો ખોખરા વિસ્તારમાં પણ રિસાયેલા પુત્રને પાછો બોલાવી આપવાના બહાને ખોડિયાર માતાજીના ભૂવા એવા શોભનાબહેન બ્રહ્મભટ્ટ અને તેમના પુત્ર રાજુ બ્રહ્મભટ્ટ વિરૂધ્ધ ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. આ બંને બનાવોને પગલે અંધ વિશ્વાસ, વહેમ અને તંત્ર-મંત્રમાં માનનારા લોકોમાં જોરદાર ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે, બીજીબાજુ, પોલીસે આ બંને બનાવો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી અને સંતાનસુખથી વંચિત એક પરિણિતાએ તેના પતિ સાથે આ જ વિસ્તારમાં નવયુગ સ્કૂલની બાજુમાં રહેતા તાંત્રિક ઠાકરસિંહ પ્રજાપતિને એક વર્ષ પહેલા મળ્યા હતા. સંતાન પ્રાપ્તિ ઝંખતા આ દંપતિને તાંત્રિકે પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા અને તેઓને અલગ અલગ જગ્યાએ જઇને વિધિ કરવાનું કહ્યું હતું. જેથી દંપતિએ સંમંતિ દર્શાવી હતી. તાંત્રિક ઠાકરસંહ પ્રજાપતિની વાત પર ભરોસો કરી દંપતિ ગયા વર્ષે ઉજ્જેૈન વિધિ કરવા માટે જઇ આવ્યું હતું. ઉજ્જૈનમાં વિધિ કરીને ઠાકરિસંહ અને દંપતિ હોટલમાં પરત આવ્યા ત્યારે આરોપી તાંત્રિક ઠાકરસિંહે પરિણિતાના પતિને લીંબુ નદીમાં પધરાવવાના બહાને બહાર મોકલ્યા હતા અને તે દરમ્યાન પરિણિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી, દુષ્કર્મ આચર્યા બાદ આરોપી તાંત્રિક ઠાકરસિંહ પ્રજાપતિએ પરિણિતાના હાથમાં એક લીંબુ મૂકી દઇ જો કોઇને આ વાત કહીશ તો, તેને સંતાનપ્રાપ્તિ નહી થવા દઉં એવી ધમકી આપી હતી. જેથી પરિણિતા ડરી ગઇ હતી. પરિણિતાના ડરનો ફાયદો ઉઠાવી આરોપી તાંત્રિકે એક વર્ષ સુધી તેની પર અલગ અલગ સમયે અને સ્થળોએ તેણીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. ત્રણ-ચાર દિવસ પહેલાં પણ પરિણિતા તેના પતિ સાથે આરોપી તાંત્રિકના નિવાસસ્થાને ગયા ત્યારે આરોપી તાંત્રિક ઠાકરસિંહ તેણીને મંદિરની પાછળના રૂમમાં લઇ ગયો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. તા.૯મી એપ્રિલે પણ પરિણિતા જયારે તેની નણંદના ત્યાં ગઇ ત્યારે પણ આરોપી તાંત્રિકે ત્યાં જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. છેવટે આરોપી તાંત્રિકની હવસથી કંટાળીને પરિણિતાએ સમગ્ર વાતનો ભાંડો પોતાના પતિ સમક્ષ ફોડયો હતો. જેને પગલે આરોપી તાંત્રિક ઠાકરસિંહ પ્રજાપતિ વિરૂધ્ધ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આરોપી તાંત્રિક ઠાકરસિંહ પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આવા જ અન્ય બનાવમાં, ઘોડાસરમાં દેવભૂમિ સોસાયટીમાં રહેતા જશોદાબહેન રમણલાલ પટેલનો પુત્ર કે જે હાલ ગાંધીનગર રહે છે, તે પારિવારિક ઝઘડામાં રિસાઇને ઘર છોડીને જતો રહ્યો હતો, તેથી પુત્રના વિયોગમાં માતા જશોદાબહેન ખોખરા વિસ્તારમાં મહેન્દ્રકુંજ સોસાયટીમાં રહેતા અને ખોડિયાર માતાજીના ભૂવા એવા શોભનાબહેન બ્રહ્મભટ્ટ અને તેમના પુત્ર રાજુને મળ્યા હતા. તેમણે બે જ દિવસમાં વશીકરણથી તેમના પુત્રને પાછો લાવી દેવાની જાળમાં જશોદાબહેનને ફસાવ્યા હતા. વશીકરણ વિધિ કરવાના બહાને એક પછી એક બંને ભૂવા માતા-પુત્રએ લાચાર જશોદાબહેન પાસેથી રૂ.૯૮ હજાર ખંખેરી લીધા હતા. એક તબક્કે જશોદાબહેને પૈસા આપવાનો ઇન્કાર કરતાં તેમનો પુત્ર બે જ દિવસમાં મરી જશે એવી ધમકી આપી ડરાવ્યા હતા. પુત્ર ઘેલછામાં લાચાર માતાએ આરોપી ભૂવા માતા-પુત્રને પૈસા આપી દીધા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ં
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ