ઉત્તર પ્રદેશમાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સાથે સતત ચેડાં અને નુકસાનગ્રસ્ત થવાના સમાચાર વચ્ચે હવે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાના રંગમાં થયેલા ફેરફારને લઈ વિવાદ છેડાયો છે. યુપીના બદાયૂ જિલ્લામાં ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો બ્લૂ રંગ બદલીને ભગવો કરી દેવામાં આવતાં ભારે વિવાદ છેડાયો છે. સામાન્ય રીતે કોટ અને પેન્ટમાં દેખાતા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હવે ભગવા રંગની શેરવાની પહેરાવવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે બદાયૂ કુંવરગાંવ પોલીસ સ્ટેશન હેઠળના દુગરૈયા ગામમાં શનિવારે સવારે ડો. ભીમરાવ આંબેડકરની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મૂર્તિની મરામત બાદ તેનો રંગ બદલવા સામે કેટલાંક દલિત સંગઠનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિના બદાયૂ જિલ્લાના અધ્યક્ષ ભારતસિંહ જાટવે જણાવ્યું છે કે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમામાં તેમના કોટનો રંગ બદલવાથી દલિત સમુદાયના લોકો રોષે ભરાયા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી ડો. ભીમરાવ આંબેડકરની તસવીરો અને પ્રતિમાઓ સામાન્ય રીતે ઘેરા રંગમાં, વેસ્ટર્ન આઉટ ફિટ બ્લેઝર અને ટ્રાઉઝર્સમાં જોઈ છે એટલા માટે બાબાસાહેબની પ્રતિમાનો ભગવો રંગ વિચિત્ર લાગે છે. આ પ્રતિમાને ફરીથી કલર કરવો જોઈએ.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ