રાજ્યસભા ચૂંટણી બાદ હવે વિધાન પરિષદની ચૂંટણી માટેની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભાજપ અને સમાજવાદી પાર્ટી તેમજ માયાવતી પોત પોતાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. વિધાન પરિષદની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ હવે નવમી એપ્રિલના દિવસે જાહેરનામુ જારી કરવામાં આવનાર છે. નામ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ ૧૬મી એપ્રિલ રહેનાર છે. વિધાન પરિષદ ચૂંટણી ગણિતને લઇને તમામ તૈયારી હાથ ધરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી જોરદાર ટક્કર રહી હતી. હવે વિધાન પરિષદમાં વોટના ગણિતની દ્રષ્ટિએ ચૂંટણીમાં જોરદાર ઘમસાણની શક્યતા નહીંવત દેખાઇ રહી છે. મોટા ભાગના સભ્યો બિનહરિફ રહેવાની શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ વિધાન પરિષદની ૧૩ સીટો માટે ૨૬મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. એજ દિવસે પરિણામ પણ આવી જશે. અત્રે નોંધનીય છે કે વિધાન પરિષદની ૧૩ સીટો પાંચમી મેના દિવસે ખાલી થઇ રહી છે. આ જ સીટો પર મતદાન થનાર છે. વર્તમાન સમયમાં વિધાન પરિષદમાં સમાજવાદી પાર્ટીના ૬૧, બહુજન સમાજવાદી પાર્ટીના નવ, ભાજરપના ૧૩ અને કોંગ્રેસના બે સભ્યો છે. વિધાન પરિષદના જે ૧૩ સભ્યોની અવધિ પૂર્ણ થઇ રહી છે તેમાં સમાજવાદી પાર્ટીના સાત, ભાજપના બે, બસપ અને અન્ય એક પાર્ટીના એક એક સભ્ય છે. એક સીટ અંબિકા ચૌધરીના રાજીનામાના કારણે પણ ખાલી થઇ હતી. એ વખતે તેઓ સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડીને બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા હતા. માર્ગ દુર્ઘટનામાં ભાજપના ધારાસભ્ય લોકેન્દ્રસિંહના મોત બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ૪૦૨ રહી છે. ઉત્તરપ્રદેશમાં હાલ જ યોજાયેલી લોકસભાની બે બેઠકોની પેટાચૂંટણી ખુબ જ રોમાંચક બની હતી જેમાં સમાજવાદી પાર્ટીએ સફળતા હાસલ કરી હતી. ભાજપે પોતાના ગઢમાં આવેલી બંને બેઠકો ગુમાવી દીધી હતી. ગોરખપુર અને ફુલપુરની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જો કે, વિધાન પરિષદની ચૂંટણી એટલી રોમાંચક બનનાર નથી. વિધાન પરિષદની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયા બાદથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અન માયાવતી જોરદારરીતે સક્રિય દેખાઈ રહ્યા છે.