ચૂંટણીગ્રસ્ત કર્ણાટકમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી છે. એકમાત્ર મોટા રાજ્ય કર્ણાટકને બચાવવા માટે રાહુલ ગાંધી હવે સંપૂર્ણપણે સક્રિય થઇ ગયા છે. આજે રાહુલ ગાંધીએ રામનગર જિલ્લામાં તથા ચિત્રદુર્ગામાં જાહેરસભાઓ અને રેલીઓ યોજી હતી. કોંગ્રેસ પ્રમુખે ટિ્વટરનો ઉપયોગ કરીને પોતાના કાર્યક્રમની જાહેરાત કરી હતી. બપોરે ચિત્રદુર્ગામાં અને સાંજે રામનગરમાં રાહુલે જાહેરસભાઓ યોજી હતી. રાહુલે બેવનગિરીમાં અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના વર્કરો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ વેપારીઓ સાથે વાત કરી હતી. બપોરના ગાળામાં ચિત્રદુર્ગામાં જાહેરસભા કરી હતી. ટુમકુરમાં રિસેપ્શન બાદ રાહુલે વધુ રેલીઓ યોજી હતી. મંગળવારના દિવસે શિમોગા પહોંચ્યા બાદથી રાહુલ ગાંધી સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયેલા છે. કર્ણાટકમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. રાહુલ ગાંધી એક પછી એક રોડ શો, રેલીઓ અને જાહેરસભાઓ કરી રહ્યા છે. અમિત શાહ પહેલાથી જ ભવ્ય રોડ શો કરી ચુક્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કર્ણાટકની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા થનાર છે. કોંગ્રેસ પ્રચાર સમિતિના વડા ડીકે શિવકુમારે સંકેત આપ્યો છે કે, રાહુલ ગાંધી ૭ અને ૮મી એપ્રિલના દિવસે ફરી બેંગ્લોર આવશે અને જુદા જુદા ક્ષેત્રોમાં જાહેર કાર્યક્રમો કરશે. ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના મજબૂત ગઢ ગણાતા શિમોગાથી રાહુલે કર્ણાટક પ્રચારમાં પાંચમા તબક્કાની આક્રમકરીતે શરૂઆત કરી હતી. તમામ સભાઓમાં રાહુલે મોટાભાગે વડાપ્રધાન ઉપર પ્રહારો કર્યા હતા. સાથે સાથે કર્ણાટક સરકારની પ્રશંસા કરી હતી. જીએસટી, નોટબંધી, ઇરાકમાં ભારતીયોના મોત, સીબીએસઈ પેપર લીક થવાના પ્રશ્ન તથા પીએનબી કૌભાંડને લઇને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
પાછલી પોસ્ટ