રાજ્ય સરકારે સ્ટેટ વકફ બોર્ડમાં નવી નિયુક્તિઓની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી સ્ટેટ વકફ બોર્ડમાં નિયુક્તિઓને લઇને વિવાદ ચાલી રહ્યો હતો, જેનો ૧૦ સભ્યોની નિયુક્તિ સાથે અંત આવ્યો છે.
રાજ્ય સરકારે સ્ટેટ વકફ બોર્ડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો સમાવેશ કર્યો છે. અહેમદ પટેલ કોંગ્રેસના સાંસદ છે, છેલ્લા કેટલાય સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસમાં એક્ટિવ છે.ઉપરાંત વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહમ્મદ પીરઝાદાને પણ સ્ટેટ વકફ બોર્ડમાં નિમવામાં આવ્યા છે.સ્ટેટ વકફ બોર્ડના અન્ય સભ્યોની નિયુક્તિમાં ભાજપના નેતા સજ્જાદ હીરાની પણ નિમવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજ્ય સરકારે અમદાવાદના અફઝલ ખાન હબીબ ખાન પઠાણ, કચ્છના અમદભાઇ ઝટ, પંચમહાલના રૂકલ્યાબેન ગુલામહુસેનવાલાની નિયુક્તિ કરવામાં આવી છે.બોર્ડમાં અન્ય સભ્યોમાં વાપીના બદરૂદ્દીન હાલાની, અરવલ્લીના સાઝીદહુસેન મિર્ઝા, વિસાવદરના સિરાજભાઇ માડકીયા અને ખેડાના આસ્માખાન પઠાનને સમાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિયુક્ત કરેલા ૧૦ સભ્યોમાંથી જ સ્ટેટ વકફ બોર્ડના ચેરમેનની પસંદગી કરવામાં આવશે.