દેશમાં ફક્ત ત્રણ રાજ્યોમાં કર્ણાટક, પંજાબ, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. એટલે કર્ણાટકનો ગઢ બચાવી રાખવાનો કોંગ્રેસ સામે પડકાર છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત સીએમ સિદ્ધારમૈયાની કસોટી થવાની છે. સીએમ કેન્ડીડેટ માટે બંને પક્ષોની એક જ મજબૂરી.ભાજપ પાસે યેદિયુરપ્પા અને કોંગ્રેસ પાસે સિદ્ધારમૈયા સિવાય એવા કોઈ ચહેરા નથી કે જેને આગળ ધરી પાર્ટી ચૂંટણી લડી શકે. હાલના સીએમ સિદ્ધારમૈયાની ટક્કર બે વાર સીએમ રહી ચૂકેલા બી.એસ. યેદિયુરપ્પા સાથે છે.
એકવાર પક્ષ છોડી ગયેલા યેદિયુરપ્પાને ભાજપે ગત મેમાં સીએમ કેન્ડીડેટ જાહેર કર્યા હતા. કોંગ્રેસ સરકાર ૧૭ ટકા વસતી ધરાવતા લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપી ચૂકી છે. જ્યારે કે અમિત શાહ મઠોની મુલાકાતો લઈ લિંગાયત ધર્મગુરુઓની વાતો જાણી તેમને રીઝવવાના પ્રયાસમાં છે. ૬૯ વર્ષના સિદ્ધારમૈયા ૨૦૧૩થી મુખ્યપ્રધાન છે. તેમના નેતૃત્વમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવી ૧૨૨ બેઠકો મેળવી હતી. છેલ્લા થોડા સમયમાં તેમણે એવા નેતાની છબી બનાવવાનો પ્રયાસ કર્યો છે જે ભાજપના હિન્દી અને હિન્દુત્વના નારાનો વિરોધ કરતો હોય. તેઓ પોતાના ભાષણોમાં કન્નડ અને દક્ષિણ ભારતની અસ્મિતાની વાતો કરે છે. સિદ્ધારમૈયા કુરુબા સમુદાયના છે. રાજ્યમાં કુરુબા સમુદાયની આઠ ટકા વસતી છે. તેમણે ભાજપને રોકવા માટે લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.૭૫ વર્ષના યેદિયુરપ્પા લિંગાયત નેતા છે. રાજ્યમાં ૧૭ ટકા લિંગાયત મતદારો છે, તેઓ ૨૦૦૭માં એક વાર સાત દિવસ માટે અને બાદમાં ૨૦૦૮માં સીએમ બન્યા હતા. ૨૦૦૮માં તેમણે પોતાના દમ પર ભાજપને જીત અપાવી હતી. ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ પાર્ટી તરફથી પ્રેશર વધતા ૨૦૧૧માં તેમણે સીએમ પદ છોડવું પડ્યું હતુ. જેનાથી નારાજ થઈને યેદિયુરપ્પાએ રાજીનામુ આપવું પડ્યુ હતુ. આથી નારાજ થયેલા યેદિયુરપ્પાએ ૨૦૧૨માં ભાજપને બાય બાય કહી કર્ણાટક જનતા પાર્ટી બનાવી હતી. તેમના અલગ થયા બાદ ૨૦૧૩માં ભાજપ ખરાબ રીતે ચૂંટણી હારી ગઈ અને માત્ર ૪૦ બેઠકો પર સમેટાઈ ગઈ. પણ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી સમયે મોદી તેમને ફરી ભાજપમાં લઈ આવ્યા અને લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૮ માંથી ૧૭ બેઠકો મેળવી હતી.