યુપી અને બિહારની પેટાચંટણીમાં ભાજપની કારમી હાર બાદ બિહારની પટનાસાહિબ બેઠક પરથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ફરી એકવાર ચિરપરિચિત અંદાજમાં નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિંહાએ કટાક્ષ કર્યો છે કે ભાજપે હજી વધુ ગોથાં ખાવાના બાકી છે. ઉત્તરપ્રદેશ અને બિહારની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે ભવિષ્યમાં પાર્ટીની સ્થિતિ ઠીકઠાક રહેવાનું દેખાતું નથી. પેટાચૂંટણીના પરિણામો પર ટિ્વટર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે ભાજપ માટે ભવિષ્યનો રસ્તો ઉબડ-ખાબડ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભાજપ આવી મુશ્કેલીની સ્થિતિમાંથી ઝડપથી બહાર નીકળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામ લીધા વગર ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ છે કે યુપી અને બિહારની પેટાચૂંટણીના પરિણામો આ બંને નેતાઓને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ભાજપના ભવિષ્યને લઈને તેમણે પોતાની ખુરશીનો પટ્ટો બાંધી લેવો જોઈએ.શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે ભાજપ ઝડપથી આવી મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળશે તેટલું સારું રહેશે. ભાજપના સાંસદે કહ્યુ છે કે પેટાચૂંટણીના પરિણામો ચીસો પાડીને પાર્ટીના ભવિષ્યને લઈને ઈશારો કરી રહ્યા છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે આત્મસંતુષ્ટિની મુદ્રામાં રહેવું જોઈએ નહીં. પટનાસાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ પેટાચૂંટણીમાં જીતવા બદલ અખિલેશ યાદવ, માયાવતી, લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને અભિનંદન પણ પાઠવ્યા છે.
આગળની પોસ્ટ