ઉત્તર પ્રદેશની સંસદીય સીટ ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીમાં હારનો સામનો કરવામાં આવ્યા બાદ ભાજપમાં ગંભીરતા વધી ગઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમોને ગુરુવારે રદ કર્યા હતા અને અધિકારીઓ સાથે તાકિદે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી તરફથી અચાનક બેઠક બોલાવવામાં આવ્યા બાદ અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો. બુધવારના દિવસે ઉત્તર પ્રદેશની બે બેઠકો ફુલપુર અને ગોરખપુરમાં પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડ્યા બાદ તેમની જીત થઇ હતી. બંને બેઠક પર ભાજપના ઉમેદવાર હારી ગયા હતા. જો કે, કોંગ્રેસને ભાજપ કરતા પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના બંને ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી હતી. ભાજપે સ્થિતિ સારી રાખી હતી પરંતુ તેની બંને બેઠકો ઉપર તેની હાર થઇ હતી. ગોરખપુરમાં યોગી આદિત્યનાથ અને ફુલપુરમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પહેલા સાંસદો હતા. બંનેએ રાજીનામા આપ્યા બાદ લોકસભા બેઠક માટેની પેટાચૂંટણી યોજાઈ હતી. ગોરખપુરમાં વર્ષ ૧૯૯૧ બાદથી ભાજપની પ્રથમ વખત હાર થઇ છે. આ હાર બાદ ભાજપના નેતા પરેશાન દેખાઈ રહ્યા છે. યોગીએ આજે અનેક કાર્યક્રમો રદ કર્યા હતા. યોગી ગોંડાના લોકકળા મહોત્સવમાં ભાગ લેવા જનાર હતા પરંતુ આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. બીજા કેટલાક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથના કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા બાદ તેમના તમામ ઉચ્ચ અધિકારીઓ અને વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. સુત્રોના કહેવા મુજબ ગોરખપુરના ડીએમ રાજુ રોટેલાની હકાલપટ્ટી થઇ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, ગોરખપુરમાં હાર થયા બાદ મુખ્યમંત્રી ખુબ જ નાખુશ દેખાઈ રહ્યા છે. અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી શકે છે. પેટાચૂંટણીમાં હાર થયા બાદ આના માટે હારના કારણોની ચકાસણી કરવામાં આવી રહી છે. ભાજપે પ્રચારમાં વધારે ધ્યાન નહીં આપવાના કારણે તેની હાર થઇ છે. ઉદાસીનતાના લીધે ઓછું મતદાન થયું હતું. આવી સ્થિતિમાં ભાજપની હાર થઇ છે.
પાછલી પોસ્ટ