ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષામાં એક દિવસના વિરામ બાદ આવતીકાલે મહત્વના વિષયની પરીક્ષા લેવામાં આવનાર છે જેથી વિદ્યાર્થીઓ ખુબ જ સાવધાન અને સજ્જ થયેલા છે. એક દિવસની રજા મળ્યા બાદ વિદ્યાર્થીઓ વાંચનમાં વ્યસ્ત રહ્યા હતા. આવતીકાલે શુક્રવારના દિવસે વધારે સ્વસ્થ્ય થઇને મુખ્ય વિષયની પરીક્ષા આપનાર છે. આવતીકાલે જાહેર કરાયેલા ટાઈમટેબલ મુજબ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્રની પરીક્ષા આપનાર છે. ખુબ જ મહત્વપૂર્ણ વિષય હોવાથી આના પર વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. બીજી બાજુ વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ આવતીકાલે ગણિત અથવા તો મેથ્સ વિષયની પરીક્ષા આપનાર છે. ખુબ મહત્વપૂર્ણ વિષય હોવાથી આ વિષયને લઇને વિદ્યાર્થીઓ વધારે ગંભીર બનેલા છે. આવતીકાલે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રહેશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ૧૨મી માર્ચથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઇ હતી. પ્રથમ દિવસે સોમવારના દિવસે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા સહિત પ્રથમ ભાષાના પેપરો આપ્યા હતા જ્યારે બપોરના ગાળામાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રનું પેપર આપ્યું હતું. બોર્ડની પરીક્ષામાં અમદાવાદના ધોરણ-૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૨,૯૭૦ અને વિજ્ઞાનપ્રવાહના ૧૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આ સાથે રાજયભરમાંથી ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૭.૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં આપી રહ્યા છે. બોર્ડના તમામ સેન્ટર એવી શાળાઓ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તથી માંડીને નીરીક્ષક સુધીની વ્યવસ્થા પણ કરાઇ છે. પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે બોર્ડ દ્વારા ૪૨થી વધુ સ્ટેટ સ્કવોડ તૈનાત કરાઇ છે. રાજયમાં ૧૫ જિલ્લાને સંવેદનશીલ જાહેર કરાયા છે, જયારે ૨૫૦ સંવેદનશીલ કેન્દ્રો સહિત ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૫૫૩ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષા માટે પસંદ કરાયેલી મોટાભાગના સેન્ટરો પર સીસીટીવીથી સજ્જ કરાયા છે, જયારે જે સેન્ટરો પર સીસીટીવી શકય નથી બન્યા ત્યાં ટેબલેટથી વિદ્યાર્થીઓ અને પરીક્ષા પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ધોરણ-૧૦ના ૭૯ ઝોનમાં કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે અને જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમા પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. કોપી કેસ અને ડમી વિદ્યાર્થીઓ પણ કેટલીક જગ્યાઓએ પકડાયા છે પરંતુ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં લાખો વિદ્યાર્થીઓ સંબંધિત ક્ષેત્રોમાં પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માર્ચના અંતિમ સપ્તાહમાં પરિપૂર્ણ થશે. ત્યારબાદ ધોરણ ૧૧ અને ધોરણોના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થનાર છે. વિદ્યાર્થીઓ હાલમાં વાંચનમાં વ્યસ્ત બનેલા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ