નેશનલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફૂલ્લ પટેલે કહ્યું છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ રાકાંપા અધ્યક્ષ શરદ પવાર દેશના વડાપ્રધાન બની શકે છે, કારણ કે હવે દેશમાં મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને વિપક્ષ એકઝૂટ થઈ રહ્યો છે. કર્ઝતમાં એનસીપી પાર્ટીના ચિંતન શિબિરના પહેલા જ દિવસે પટેલે કહ્યું કે, કેન્દ્રમાં ભાજપે ત્રણ વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. હવે માત્ર દોઢ વર્ષ બચ્યું છે. જેથી લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. ભાજપ ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે, તેથી રાકાંપાના સભ્યો ચૂંટણી માટે તૈયાર રહે.
પટેલે એવો પણ દાવો કર્યો છે કે, દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધનો માહોલ બની રહ્યો છે. આ બેઠકમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર, પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે, અજિત પવાર, સુપ્રિયા સુલે સહિત રાકાંપાના ધારાસભ્ય અને સાંસદો પણ હાજર રહ્યા હતા. પટેલે કહ્યું કે, ગત લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી અને હવે તે ગાયબ થઈ ગઈ છે. જ્યાં પહેલા સોશિયલ મીડિયા પર મોદી સરકારના વખાણ થતા હતા, ત્યાં હવે સામાન્ય જનતા ટીકા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં મુંબઈ આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ રાકાંપાના અધ્યક્ષ શરદ પવારને મળવા માગતા હતા.પ્રફૂલ્લ પટેલે એવું પણ કહ્યું હતું કે, એનસીપી ફડણવીસ સરકારને સમર્થન આપશે નહીં. એનસીપી પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું હતું કે, એનસીપી ભાજપ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરશે નહીં.
પાછલી પોસ્ટ