મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને નાબૂદ કરી ડોકટરો અને તબીબી શાખાના વિદ્યાર્થીઓના હિત પર તરાપ મારતાં નેશનલ મેડિકલ કમીશન બીલના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન(હેડકવાર્ટર,નવી દિલ્હી)દ્વારા વિરોધ પ્રદર્શન અને સાયકલ રેલી યોજવાનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેર સહિત સમગ્ર દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની ૧૭૨૫ બ્રાંચ દ્વારા ડોકટરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની અનોખી સાયકલ રેલી એકસાથે અને એકસમયે નીકાળવામાં આવી હતી. અમદાવાદ મેડિકલ એસોસીએશન દ્વારા પણ આજે શહેરમાં સવારે સાત વાગ્યે આશ્રમરોડ ખાતે અમદાવાદ મેડિકલ એસોસીએશન ખાતેથી વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦૦થી વધુ ડોકટરો અને મેડિકલ કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડોકટરો અને તબીબી શાખાના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમીશન બીલનો ઉગ્ર વિરોધ પણ વ્યકત કર્યો હતો. અમદાવાદ શહેરમાં આશ્રમરોડ પર અમદાવાદ મેડિકલ એસોસીએશનની કચેરી ખાતેથી આજે વહેલી સવારે સાત વાગ્યે ડોકટરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની વિશાળ સાયકલ રેલી નીકાળવામાં આવી હતી. ઇન્ડિય મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો.જીતેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવાયું હતું. આશ્રમરોડથી નીકળેલી ડોકટરો અને તબીબી શાખાના વિદ્યાર્થીઓની સાયકલ રેલી સી.જી.રોડ, પરિમલ ગાર્ડન, માદલપુર ગરનાળા, ટાઉનહોલ થઇ આશ્રમરોડ એએમએની ઓફિસ ખાતે પરત ફરી હતી. રેલીમાં જોડાયેલા ડોકટરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્દ્રના નેશનલ મેડિકલ કમીશનના સૂચિત બીલનો જોરદાર વિરોધ કર્યો હતો. આ પ્રસંગે ઇન્ડિય મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો.જીતેન્દ્ર પટેલ અને ડો. જયેશ સચદેવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું આ નેશનલ મેડિકલ કમીશન બીલ દેશના ડોકટરો અને તબીબી શાખાના વિદ્યાર્થીઓના હિત અને કલ્યાણ વિરૂધ્ધનું છે. બીલને લઇ લોકશાહીના પ્રસ્થાપિત મૂલ્યો અને બંધારણીય જોગવાઇઓનો પણ ભંગ થાય છે.