ગોરખપુુર અને ફુલપુર લોકસભાની સીટો પર યોજાનાર પ્રતિષ્ઠિત પેટાચૂંટણીને લઇને ભાજપની સામે જોરદાર ટક્કર લેવા આ વખતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ કમર કસી લીધી છે. પેટાચૂંટણીને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ પોતાની પાર્ટીના કાર્યકરોને સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કરવા સુચના આપી છે. માયાવતીએ બન્ને લોકસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછી ૧૦૦ નુક્કડ સભા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગુરૂવારના દિવસે થયેલી બેઠકમાં ચૂંટણી પ્રચાર માટે રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. માયાવતીએ પોતાના નજીકના રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થ અને અન્ય કેટલાક મોટા નેતાને પ્રચાર પર નજર રાખવા માટે સુચના આપવામાં આવી છે. બસપના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમને એટલી જ મહેનતથી પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યુ છે જેટલી મહેનત અમે અમારી પાર્ટી માટે કરીએ છીએ. હાલમાં જ માયાવતીએ બન્ને સીટો પર સમાજવાદી પાર્ટીને સમર્થન કરવાની જાહેરાત કરી હતી. આના બદલે સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીની રાજ્યસભા ચૂંટણી માટે મદદ કરનાર છે. સુત્રોએ કહ્યુ છે કે બુથ લેવલ કાર્યકરોને પોતાના ક્ષેત્રમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. બહુજન સમાજવાદી પાર્ટીમાંથી હાકી કાઢવામાં આવેલા ઇન્દ્રજીત સરોજ હવે સમાજવાદી પાર્ટીમાં છે. હાલમાં ફુલપુરમાં આ પ્રચારનુ તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે બન્ને સીટ પર ૧૧મી માર્ચના દિવસે મતદાન થનાર છે. જ્યારે ૧૪મી માર્ચના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ફુલપુર સીટ કૈશવ પ્રસાદ મૌર્ય અને ગોરખપુર સીટ યોગી આદિત્યનાથના રાજીનામા બાદ ખાલી થઇ છે. ચૂંટણી ખુબ રોમાંચક બનનાર છે.